કેજરીવાલ મામલે હાઇકોર્ટે CBIને નોટિસ મોકલી માગ્યો જવાબ

નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ મામલે દિલ્હી હાઇકોર્ટે CBIને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. આબકારી નીતિ કેસમાં CBI દ્વારા કરવામાં આવેલી ધરપકડને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. CBIએ 26 જૂને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને કોર્ટે તેમને ત્રણ દિવસના CBI રિમાન્ડમાં મોકલી દીધા હતા. ત્યાર બાદ તેમના રિમાન્ડની મુદત પૂરી થવા પર તેમને કોર્ટે કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા હતા.

 શું છે કેસ?

દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને CBIએ પોતાની ધરપકડને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. આ મામલામાં દિલ્હી હાઇકોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ હતી અને કોર્ટે આ મામલે CBIને નોટિસ જારી કરતાં સાત દિવસનો સમય આપ્યો હતો. CBIનો જવાબ દાખલ થયા પછી બે દિવસનો સમય કેજરીવાલને આપવામાં આવ્યો છે. જેથી CBIના પ્રત્યુત્તરમાં તેઓ પોતાનો જવાબ દાખલ કરી શકે અને ત્યાર બાદ આ મામલે આ કેસની સુનાવણી 17 જુલાઈએ થશે.

કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં કહ્યું હતું કે આ મામલામાં કેજરીવાલની ધરપકડની કોઈ જરૂર નથી, કેમ કે કેજરીવાલ પહેલેથી તિહાડ જેલમાં બંધ છે. આ મામલામાં ઓગસ્ટ 2022માં FIR નોંધવામાં આવી હતી, જ્યારે કેજરીવાલની પૂછપરછ માટે CBIએ ગયા વર્ષે બોલાવ્યા હતા. તેમણે કેજરીવાલની ધરપકડ પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે એ કાનૂન અંતર્ગત નથી.