પીએમ મોદી ભૂમિપૂજન પૂર્વે હનુમાનગઢી મંદિરમાં દર્શન કરવા જશે

અયોધ્યાઃ પવિત્ર રામનગરી અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામના મંદિરના બાંધકામ માટે પાંચ ઓગસ્ટના બુધવારે ભૂમિપૂજન કરવામાં આવશે. એ માટે અયોધ્યા નગરનો સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે અને તેઓ મંદિરની પ્રથમ ઈંટ મૂકશે.

પાંચ ઓગસ્ટે અયોધ્યામાં આગમન કર્યા બાદ મોદી સૌથી પહેલાં હનુમાનગડી મંદિરમાં દર્શન કરવા જવાના છે. આનું કારણ એ છે કે આ એમને રસ્તામાં જ આવશે. ત્યાં એ દર્શન, પૂજા કરશે.

મંદિરમાં પીએમ મોદી લગભગ 7 મિનિટ સુધી રહેશે. એ દરમિયાન તેઓ દેશનું ભલું થાય અને કોરોના વાઈરસનો ફેલાવો ઘટી જાય એ માટે વૈદિક પૂજારીઓ દ્વારા મંત્રોનું પઠન કરશે. એ પૂજા ત્રણ મિનિટ સુધી ચાલશે.

હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત રાજૂ દાસે સમાચાર સંસ્થાને કહ્યું કે વડા પ્રધાનનો કાર્યક્રમ માત્ર સાત જ મિનિટનો નક્કી કરાયો છે.

પીએમ મોદીના આગમન બાદ મંદિરમાં વિશેષ મંત્રોનું પઠન કરાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમને કારણે માત્ર 4 પૂજારી જ મંત્રોપાઠ કરશે. આ માટે મંદિરના પૂજારીને વડા પ્રધાન કાર્યાલય તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વડા પ્રધાન મોદીને સ્પર્શ કરવાની કોઈને પણ પરવાનગી નહીં હોય અને કોઈએ એમને પ્રસાદ પણ આપવાનો નહીં.

આ મંદિરમાં પૂજા કર્યા બાદ મોદી રામ મંદિર ભૂમિપૂજન માટે જશે. ભૂમિપૂજન બાદ રામ મંદિર બાંધકામનું કાર્ય શરૂ કરાશે. ભૂમિપૂજન સમારોહમાં કેટલાક ખાસ રાજકીય નેતાઓ તથા ધાર્મિક ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.