5G  ટેક્નોલોજીથી કોરોના ફેલાતો નથીઃ સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ દેશમાં 5G ટેક્નોલોજીના મોબાઈલ ટાવર્સનું પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું હોવાને કારણે કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર ફેલાઈ છે એવો દાવો કરતા અનેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર ફરતા સંદેશાઓને કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરનારા કહ્યા છે અને કહ્યું છે કે 5G ટેક્નોલોજી અને કોરોના બીમારીના ફેલાવા વચ્ચે કોઈ જોડાણ નથી.

કેન્દ્રીય સંદેશવ્યવહાર મંત્રાલયે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે કે લોકોને ગેરમાર્ગે દોરતા અનેક સંદેશાઓ અમારા ધ્યાનમાં આવ્યા છે. આ બધી બેવકૂફી છે અને તદ્દન ખોટી વાત છે. લોકોને અપીલ કરીએ છીએ કે આવી ખોટી માહિતી અને અફવાઓથી મૂર્ખ ન બનો. 5G ટેક્નોલોજી અને કોવિડ-19 બીમારી વચ્ચે કોઈ પ્રકારની કડી હોવાના દાવાઓને કોઈ વૈજ્ઞાનિક આધાર અપાયો નથી. વળી, ભારતમાં હજી ક્યાંય પણ 5G નેટવર્ક માટેનું પરીક્ષણ શરૂ પણ નથી કરાયું. 5G ટ્રાયલ્સ કે નેટવર્કે ભારતમાં કોરોના ફેલાવ્યો હોવાની અફવા પાયાવિહોણી અને ખોટી છે.