ભૂતપૂર્વ નાણાપ્રધાન યશંવત સિંહા તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ

કોલકાતાઃ ભાજપના ભૂતપૂર્વ નાણાપ્રધાન યશંવત સિંહાએ તૃણમૂલ કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા છે. આ અવસરે ડેરેક ઓબ્રાયન, સુદીપ બંદોપાધ્યાય અને સુબ્રત મુખરજી હાજર રહ્યા હતા. સિંહાએ ભાજપની તીખી આલોચના કરી હતી અને દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ મોટા બહુમત સાથે સત્તામાં પરત ફરશે. હું બહુ અફસોસની સાથે કહી રહ્યો છું કે ચૂંટણી પંચ હવે સ્વતંત્ર સંસ્થા નથી રહી. તોડીમરોડીને ચૂંટણી (આઠ તબક્કામાં મતદાન) કરાવવાનો નિર્ણય ચૂંટણી પંચે મોદી-શાહના નિયંત્રણમાં લીધો છે અને ભાજપને લાભ થવા માટે લેવામાં આવ્યો છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપની એક જ મહત્ત્વાકાંક્ષા છે કે દરેક ચૂંટણી યેનકેનપ્રકારે જીતવી અને એટલા માટે મમતાજીને અપંગ કરવા માટે નંદીગ્રામમાં આક્રમણ કર્યું હતું, એમ સિંહાએ કહ્યું હતું. યશંવત સિંહા કોલકાતા સ્થિત પાર્ટીની મુખ્ય ઓફિસમાં TMCમાં સામેલ થવા માટે મમતા બેનરજીને મળવા તેમના નિવાસસ્થાને મુલાકાત કરવા ગયા હતા, એમ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું. સિંહાએ કહ્યું હતું કે દેશ આ સમયે સંકટમાં છે. સરકારી સંસ્થાઓને નબળી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાલના સમયમાં મોટા ભાગની સંસ્થા નબળી થઈ ગઈ છે, એમાં ન્યાય તંત્ર પણ સામેલ છે. દેશમાં આ સૌથી મોટું જોખમ ઊભું થયું છે.

લાંબા સમય સુધી ભાજપના નેતા રહેલા યશવંત સિંહે વાજપેયી સરકારનો સમય યાદ કરતાં કહ્યું હતું કે અટલજીના સમયમાં ભાજપ સર્વસંમતિમાં વિશ્વાસ કરતી હતી, પણ હાલની સરકાર માત્ર કચડવામાં અને જીતવામાં વિશ્વાસ કરે છે. અકાલીઓએ અને BJD પણ ભાજપથી ગઠબંધન તોડી નાખ્યું છે.