છેવટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે તૈયારી કરી રહેલી સમાજવાર્દી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છેવટે વાત બની ગઈ છે. ચૂંટણી પહેલાં સીટ વહેંચણી પર તમામ અડચણોને પાર કરતાં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે. SP પ્રમુખ અખિલેશ યાદવે એલાન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસની સાથે ગઠબંધન થશે. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે કઈ પાર્ટી કઈ સીટ પરથી લડશે.

તેઓ ભારત જોડો ન્યાય યાત્રામાં કેમ સામેલ નહીં થયા? એ સવાલના જવાબમાં યાદવે કહ્યું હતું કે અંત ભલા તો સબ ભલા, હા, ગઠબંધન થશે. કોઈ વિવાદ નથી. બધું ટૂંક સમયમાં સ્પષ્ટ થશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી વિશે તેમણે કહ્યું હતું કે ભાજપનો સફાયો થશે. દિલ્હીમાં ખેડૂતો ધરણાં પર બેઠા છે. પરીક્ષા પેપર લીક થયા છે અને સરકાર પર મોટા પાયે આરોપ લાગેલા છે.  ભાજપ એ પાર્ટી નથી, પણ ગેન્ગ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં સીટોની વહેંચણીને લઈને વાતચીત થઈ રહી હતી, પણ કેટલીક સીટો પર સમજૂતી ના થઈ શકવાને કારણે એ વાતચીત અટકી હતી. હવે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે સીટોની વહેંચણી થશે.

ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 સીટો છે, બંને પાર્ટીઓએ કરેલી સમજૂતી અનુસાર SP કોંગ્રેસ 17 સીટો આપવાની રજૂઆત કરી ચૂકી છે. SP અત્યાર સુધી ઉત્તર પ્રદેશની 31 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.