‘કલ કે કરોડપતિ’: સ્ટાર્ટઅપ શો થકી રોજગારીનું સર્જન

અમદાવાદઃ બોલીવુડ સ્ટાર સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં ગુજરાતનો પ્રથમ સ્ટાર્ટઅપ શો ‘કલ કે કરોડપતિ’ની જાહેરાત કરવામાં આવી. આ શોનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને અન્ય સ્ટેકહોલ્ડર્સને સમૃદ્ધ સમુદાય બનાવવાનો છે. ‘કલ કે કરોડપતિ’ના ઉપક્રમે શોના આગમન પહેલાં જ સ્ટાર્ટઅપ્સને રૂપિયા 15 કરોડ જેટલી માતબર રકમ વિવિધ વેપાર માટે ફાળવી દેવામાં આવી છે.

‘કલ કે કરોડતિ’ એક અનોખો રિયાલિટી શો છે. જે હિંદી ભાષામાં બન્યો છે અને તેનું પ્રસારણ નેશનલ ટેલિવિઝન પર ટૂંક સમયમાં થશે. આ શોનું પ્રથમ ચેપ્ટર કે એની પ્રથમ સીઝન ગુજરાતના સ્ટાર્ટઅપ્સને કેન્દ્રસ્થાને રાખીને બની છે. આગળ જતાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં પણ એની સીઝન યોજાશે.

આ પ્રકારના અન્ય શોઝથી સદંતર જુદું અને મનોરંજક માળખું ‘કલ કે કરોડપતિ’નું છે. પહેલી સીઝન માટે ગુજરાતભરમાંથી 500થી વધુ બિઝનેસ પ્રપોઝલ્સ અને વિચારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. એમાંથી 27 મૌલિક આઇડિયાઝ ધરાવતા સ્ટાર્ટઅપ્સને શોમાં ઝળકવાની તક આપવામાં આવી હતી. તમામને રોકાણકારોની પેનલ સમક્ષ પોતાના બિઝનેસની ખાસિયતો અને એના ઊજળા ભવિષ્યની રજૂઆત કરવાની તક પ્રદાન કરવામાં આવી હતી. એ માટે દરેકને ત્રણ મિનિટની લાઇવ પીચનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો. આ શો વિશે વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજાએ કહ્યું હતું કે “કલ કે કરોડપતિ’’ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ભારતના વિશાળ ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમને આશા છે કે આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમ જ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ શોનાં અસોસિયેટ પ્રોડ્યુસર અલકા ગોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં આવો અનોખો અને અવ્વલ શો બન્યો છે એ સાત કરોડ ગુજરાતીઓ માટે, આખા દેશ માટે ગૌરવની બાબત છે. આશાસ્પદ બિઝનેસ માટે આ શો આવશ્યક ભંડોળ મેળવીને આગેકૂચ કરવાનું કામ આસાન કરી આપશે. મને ખાતરી છે કે આ શો પોતાના ક્ષેત્રમાં દેશના એક સર્વોત્તમ પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત થશે.

અભિનેતા તથા સફળ બિઝનેસમેન સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે  “કલ કે  કરોડપતિ” સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોની સમૃદ્ધ ઇકોસિસ્ટમ કેળવવા માટે પ્રશંસનીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે, જેના મારફત આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. જેમાંનાં ઘણાં નવાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસો આગામી વર્ષોમાં આર્થિક વૃદ્ધિ માટે નોંધપાત્ર સફળતાનો માર્ગ તૈયાર કરશે, પરિણામે રોજગારની વિશાળ તકોનું સર્જન થશે.‘કલ કે કરોડપતિ’ની પહેલ ટેક્નોલોજી, શિક્ષણ, ટ્રાવેલ, હેલ્થકેર અને હોસ્પિટાલિટી સહિત વિવિધ ક્ષેત્રે નવી તકોનું સર્જ ઉપરાંત રોકાણોની સુવિધા પ્રદાન કરતા આર્થિક વૃદ્ધિમાં ફાળો આપવા તૈયાર છે. આઈરોલર મિડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ પટેલ છે. આ નિમિત્તે એમણે પણ શોની નોંધપાત્ર સફળતા વિશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.