નવી દિલ્હીઃ 2013ની શરુઆતમાં કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ સરકાર કથિત ગેરરીતિઓ માટે નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડની તપાસ કરી રહી હતી. એ જ સમયે એનએસઈએલની પ્રમોટર કંપની ફાઈનાન્શિયલ ટેક્નોલોજીસ લિમિટેડને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત 4.69 એકરનું ફાર્મ હાઉસ ભાડે આપ્યું હતું. FTIL ના પ્રમોટર જિગ્નેશ શાહ છે જેના પર કરોડો રુપિયાના ગોટાળાનો આરોપ છે.FTIL અને રાહુલ-પ્રિયંકા વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ પર 1 ડિસેમ્બર 2013ની તારીખ છે. જેના 10 મહિના પહેલાં એનએસઈએલને નિયમોના ઉલ્લંખન બદલ કારણદર્શક નોટિસ મળી હતી. એનએસઈએલની ગેરરીતિઓ જુલાઈ 2013માં જાહેર થઈ હતી અને રેન્ટ એગ્રીમેન્ટ ઓક્ટોબર 2013માં પૂર્ણ થયું. જો કે લીઝ 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની હતી. FTIL અને કોંગ્રેસ બંન્નેએ તેને સામાન્ય વ્યાપારી લેણદેણ બતાવી છે.
કોંગ્રેસે જણાવ્યું કે કેન્દ્રમાં યૂપીએ અને મહારાષ્ટ્રમાં કોગ્રેસ-એનસીપી સરકારે FTIL, શાહ અને અન્ય સંસ્થાઓ વિરુદ્ધ નિર્ણાયક અને અપરાધિક મામલામાં કાર્યવાહી કરી હતી. જેમાં શાહની ધરપકડનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે 29 નવેમ્બરના રોજ ઈડીએ FTIL સાથે રાહુલ-પ્રિયંકા સાથે તેમની સમજૂતીની જાણકારી માગી છે.
FTIL દ્વારા મહરોલી સ્થિત ઈન્દિરા ફાર્મ હાઉસ 6.7 લાખ રુપિયા માસિક ભાડુ નક્કી કરીને 11 મહિનાની લીઝ પર લીધું હતું. FTILએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ક્રમશ: 40.10 લાખ રુપિયા તથા 20.10 લાખ રુપિયાના અલગ-અલગ વ્યાજમુક્ત ચેક આપ્યાં હતાં. લીઝ અનુસાર કંપની આ ફાર્મહાઉસનો ઉપયોગ પોતાના અધિકારીઓ માટે ગેસ્ટ હાઉસ તરીકે કરવા ઈચ્છતી હતી.
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ જણાવ્યું કે આ ફાર્મહાઉસ પૈતૃક સંપત્તિ છે જે 1960ના દશકમાં ખરીદવામાં આવી હતી ઘણા વર્ષોથી આ ફાર્મહાઉસને ભાડે આપવામાં આવે છે. સૂરજેવાલાએ જણાવ્યું કે આખી લેવડ-દેવડની જાણકારી ઈનકમ ટેક્સ રિટર્ન્સમાં આપવામાં આવી હતી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)