કોરોના બાળકો પર ઘાતક? કોઈ જાણકારી નથી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીની કોઈ પણ ભાવિ લહેર બાળકોના આરોગ્ય ઉપર ગંભીર રીતે અસર પાડશે એવી ભારતમાંથી કે બહારના દેશોમાંથી, ક્યાંયથી કોઈ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ નથી એવું દિલ્હીની AIIMS સંસ્થાના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે. કોરોનાની હવે પછીની લહેર બાળકોને ગંભીર રીતે બીમાર પાડી દેશે એવી જે માહિતી ફેલાઈ છે એ સાવ ખોટી છે, એવી ડો. ગુલેરિયાએ સ્પષ્ટતા કરી છે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જે બાળકોને રોગનો ચેપ લાગ્યો હતો અને જેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, એમાંના 60-70 ટકા બાળકો ન તો કો-મોર્બિડિટીઝ (અન્ય ગંભીર બીમારીના શિકાર) હતા કે ન તો એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી. એ બધા તંદુરસ્ત બાળકો જ હતા અને હળવી બીમારી બાદ સાજા થઈ ગયા હતા.