‘સાયરસ મિસ્ત્રીના મૃત્યુનું કારણ પૂલની ખામીયુક્ત ડિઝાઈન’

મુંબઈઃ ટોચના ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી અન્ય ત્રણ જણની સાથે જેમાં પ્રવાસ કરતા હતા અને જેને કારણે એમનું તથા એમના મિત્ર જહાંગીર પંડોલનું મૃત્યુ થયું હતું તે મર્સિડીઝ બેન્ઝ એસયૂવી કારને ગયા રવિવારે નડેલા અકસ્માતનું કારણ સૂર્યા નદી પરના પૂલની ખામીયુક્ત ડિઝાઈન છે, એમ અકસ્માતની ઘટનામાં તપાસ હાથ ધરનાર ફોરેન્સિક વિભાગની ટૂકડીએ કહ્યું હોવાનો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે.

અકસ્માતની ઘટનાની તપાસ ફોરેન્સિક વિભાગના સાત સભ્યોની ટીમ કરી રહી છે. એમનું કહેવું છે કે અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે એક માળખાગત સમસ્યાને કારણે અકસ્માત થયો હતો. પૂલની પેરપિટ દીવાલ શોલ્ડર લેન (ઈમર્જન્સી લેન)માં બહાર નીકળી આવી હોવાનું માલૂમ પડ્યું હતું. આ ડિઝાઈન ખામીયુક્ત હોવાનું અમને જણાયું છે.

અકસ્માત નજરે જોનારાઓનું કહેવું છે કે રૂ. 70 લાખની કિંમતની મર્સિડીઝ બેન્ઝ GLC SUV કાર અત્યંત સ્પીડમાં હતી અને સૂર્યા નદી પરના પૂલ પર એક અન્ય વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં એ રોડ ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી. મિસ્ત્રી અને પંડોલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.