કોરોનાના 77,266 નવા કેસઃ કેન્દ્ર પર ટેસ્ટિંગ નહીં વધારવાનો આરોપ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 77,266 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં કોરોના કેસોની આ સૌથી મોટી સંખ્યા છે.  આ સાથે છેલ્લા 24 કલાકમાં 1057 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 33,87,500 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 61,529 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 25,83,948 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,42,023 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.29 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે. સક્રિય કેસનો દર પણ ઘટીને 22 ટકા થયો છે.   

દિલ્હીમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસોમાં વધારો

દિલ્હીમાં પાછલા બે દિવસથી કોરોના કેસોમાં વધારો થતાં કેજરીવાલ સરકારની ચિંતા ફરી એક વાર વધી ગઈ છે. સરકારે ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો છે, પણ કેન્દ્ર સરકાર પર ટેસ્ટિંગ અટકાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખીને ટેસ્ટિંગ નહીં વધારવાને લઈને અધિકારીઓ પર દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીના અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવામાં ના આવે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.