કોંગ્રેસના ન્યાયપત્રમાં મહિલાઓને એક લાખ, ખેડૂતોનાં દેવાં માફનું એલાન

નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેનાં ચૂંટણીવચનો જારી કરી દીધાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદંબરમ અને અન્ય નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે. પાર્ટીએ દેશની જનતાને પાંચ ન્યાયનું વચન આપ્યું છે. આ સાથે પાર્ટીએ 25 ગેરંટીનો ઉલ્લેખ કર્યો છે.  

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મનરેગાના ગરીબ મજૂરોને રૂ. 400ની મજૂરી આપવામાં આવશે. 40 લાખ સરકારી નોકરીઓ અને શહેરી રોજગાર ગેરંટી લાવવાનાં વચનો આપ્યાં હતાં. રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાના તર્ક પર દેશમાં રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર કેશલેસ વીમા યોજના લાગુ કરવામાં આવશે. તેમણે ખેડૂતો માટે પણ મોટું એલાન કર્યું હતું. સરકાર પર પર દેશમાં ખેડૂત ન્યાય હેઠળ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવશે. આ ઘોષણાપત્ર ન્યાયનો દસ્તાવેજ છે, એમ તેમણે કહ્યું હતું.

સરકાર બનવા પર દેશમાં જાતીય જનગણતરી કરાવવામાં આવશે. મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજનાનું એલાન કરતાં તેમણે કહ્યું હતું કે દેશમાં ગરીબ મહિલાઓને રૂ. એક લાખની મદદ કરવામાં આવશે. યુવાઓને પણ નોકરીની ગેરંટી આપવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કાર્યક્ષમતા અને મતપત્રની પારદર્શિતા માટે ચૂંટણી કાયદાઓમાં સંશોધન કરવામાં આવશે. મતદાન EVMના માધ્યમથી થશે, પણ મતદાતા મશીનથી પ્રાપ્ત મતદાન રસીદનેને VVPATમાં રાખવામાં અને જમા કરવામાં સક્ષમ હશે. અમે વચન આપીએ છીએ કે અમે ભોજન અને પરિધાન, પ્રેમ અને લગ્ન અને દેશના કોઈ પણ ભાગમાં યાત્રા અને રહેઠાણમાં વ્યક્તિગત પસંદમાં હસ્તક્ષેપ નહીં કરીએ.