દક્ષિણ ભારતમાં વરસાદની પેટર્ન બદલાઈ શકે છે

નવી દિલ્હીઃ એક નવા અભ્યાસના તારણ પરથી એવી ચેતવણી મળી છે કે ભવિષ્યમાં આબોહવામાં પરિવર્તન આવવાથી દર વર્ષે વરસાદ પડવાની જે ભાત પડી છે એમાં અસમાન ફેરફાર આવી શકે છે, ઉષ્ણકટિબંધ (ટ્રોપિકલ) વરસાદી પટ્ટાવિસ્તાર શિફ્ટ થઈ શકે છે. આ ઉષ્ણકટિબંધ વરસાદી પટ્ટાવિસ્તાર એટલે પૃથ્વીની ભૂમધ્યરેખા (વિષુવવૃત) નજીક કે જ્યાં ભારે વરસાદ પડે છે તે એક સાંકડો પટ્ટો. આ ફેરફારને પગલે ભારતના ભાગોમાં પૂરની આફતમાં વધારો થઈ શકે છે.

નેચર ક્લાયમેટ ચેન્જ સામયિકમાં પ્રકાશિત થયેલા અહેવાલ માટે 27 અદ્યતન ક્લાયમેટ મોડલ્સમાંથી કમ્પ્યુટર સ્ટિમ્યુલેશન્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ગ્રીનહાઉસ ગેસ ઈમિસન (પૃથ્વી પર ઉદ્યોગો અને વાહનવ્યવહારના ધૂમાડાથી ગ્રીનહાઉસ ગેસ (વાયુઓ)નીકળવાનું પ્રમાણ) હાલની સદીના અંત સુધી વધવાનું ચાલુ રહે તો ઉષ્ણકટિબંધ પ્રદેશના વરસાદી પટ્ટાવિસ્તારમાં ભવિષ્યમાં કેવા ફેરફારો આવી શકે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધન અનુસાર, ઉષ્ણકટિબંધ વરસાદી પટ્ટાવિસ્તાર ઉત્તરની દિશા તરફ – પૂર્વીય આફ્રિકા તરફ અને હિંદ મહાસાગર તરફ ખસવા માંડે તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં પૂરનું પ્રમાણ વધી જાય. એને કારણે પર્યાવરણ માટે અનુકૂળ સજીવો અને વનસ્પતિ પર માઠી અસર પડી શકે અને 2100 સુધીમાં અનાજની અછત પણ ઊભી થઈ શકે.