નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈ બોર્ડની આગામી પરીક્ષાઓના મામલે ચર્ચા કરવા માટે આજે બેઠક બોલાવી હતી અને તેને પગલે શિક્ષણ મંત્રાલયે 12મા ધોરણની પરીક્ષાને સ્થગિત કરી દીધી છે અને 10મા ધોરણની પરીક્ષાને રદ કરી દીધી છે. દેશભરમાં કોરોનાવાઈરસ મહાબીમારીનો પ્રચંડ ફેલાવો થયો હોવાને કારણે પરીક્ષાઓ વિશે આ મહત્ત્વના નિર્ણયો લેવા પડ્યા છે.
દસમા ધોરણના બોર્ડના પરિણામો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા ધારાધોરણને આધારે તૈયાર કરવામાં આવશે. જે વિદ્યાર્થી-ઉમેદવારને આ પદ્ધતિના આધારે તેને અપાયેલા માર્ક્સથી સંતોષ ન થાય તો પરીક્ષા યોજી શકાય એવું અનુકૂળ વાતાવરણ નિર્માણ થાય તે પછી એને કોઈ પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે, એમ શિક્ષણ મંત્રાલયે એ અખબારી યાદીમાં જણાવ્યું છે.
