દાલ સરોવરમાં ભાજપની પ્રચાર શિકારા-બોટ ઊંધી વળી

શ્રીનગરઃ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટેની એક શિકારા બોટ આજે અહીંના દાલ સરોવરમાં ઊંધી વળી ગઈ હતી, પરિણામે ભાજપના ઓછામાં ઓછા ચાર નેતા તથા કેટલાક પત્રકારો-કેમેરામેન સરોવરનાં બરફીલા પાણીમાં પડી ગયાં હતાં. એ બધાયને તરત જ બચાવી લેવામાં આવ્યાં હતાં. હાલ કશ્મીરમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ચાલી રહી છે. એના ભાગરૂપે ભાજપના નેતાઓ દાલ સરોવરમાં પ્રચાર કરી રહ્યાં હતાં.

સ્થાનિક લોકોએ દાલ સરોવરમાં પડી ગયેલાં ભાજપના નેતાઓ અને પત્રકારો-કેમેરામેનોને બચાવી લીધા હતા. ભાજપના નેતા શાહનવાઝ હુસેને એનડીટીવીને કહ્યું હતું કે શિકારા બોટ કિનારે પહોંચ્યા બાદ અચાનક ઊંધી વળી ગઈ હતી. સદ્દભાગ્યે દરેક જણ સુરક્ષિત છે.