ભાજપે બંગાળ બંધનું આહવાન કર્યું, TMCએ પાડી ના

કોલકાતાઃ કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા મામલે નબાન્ન અભિયાન માર્ચ કાઢતાં પ્રદર્શનકારી હાવડાના સંતરાગાછીમાં પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા હત અને બેરિકેડ્સ તોડવામાં આવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યા અને આંસુ ગેસ છોડવામાં આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ, ભાજપે પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી પર પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું હતું કે અસલી તાનાશાહી બંગાળમાં ચાલી રહી છે. મમતા બેનર્જીનું વલણ તાનાશાહી છે. ભાજપે નબન્ના (રાજ્ય સચિવાલય) અભિયાનનું સમર્થન કર્યું છે તો ડાબેરી પક્ષોએ તેને ભાજપ અને RSSનું ષડયંત્ર ગણાવ્યું છે. નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને હાવડા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. ભાજપે આવતી કાલે 12 કલાક બંધનું એલાન પણ કર્યું છે. સુકાંત મજમુદારે પણ કહ્યું હતું કે તેઓ પ્રદર્શનકારીઓને મદદ કરશે.

જોકે એના વિરોધમાં બંગાળ સરકારે આદેશ પસાર કર્યો છે. સરકારે કહ્યું છે કે કાલે એવું કંઈ નહીં થાય. સરકારે કર્મચારીઓને આદેશ કર્યો છે કે આવતી કાલે બધાઓએ ઓફિસ આવવાનું છે અને ગેરહાજર રહેનાર કર્મચારી પર પગલાં લેવાશે.

કોલકાતા પોલીસે વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને શહેરને છાવણીમાં ફેરવી દીધું છે. આ અભિયાનને રોકવા માટે 6000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને 19 સ્થળોએ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા. આ સાથે જ નબન્ના ભવનની બહાર ત્રણ લેયરની સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે.પોલીસને અધિકારીઓને સજાગ રહેવા અને સીસીટીવી ફૂટેજ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. કોલકાતા પોલીસે આ અભિયાનના આયોજકોને એક મેઇલ પણ મોકલ્યો છે, જેમાં રેલીનું નેતૃત્વ કરનારા નેતાઓની વિગતો માગવામાં આવી છે. TMCએ કહ્યું છે કે વિપક્ષ રાજ્યમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યો છે અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ દરમિયાન કોલકાતા કેસમાં વિરોધ પક્ષોએ હવે પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાની લાશ મળ્યાના થોડા જ સમયમાં ઘટનાસ્થળે એકઠા થયેલા અનેક લોકોના ટોળાનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં તત્કાલીન આરજી કર પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષ, તેમના વકીલ સાંતનુ ડે, પોલીસ અને હોસ્પિટલના સિક્યોરિટી સેમિનાર હોલમાં જોવા મળી રહ્યા છે, જ્યાં ગુનો થયો હતો.