એરસેલના પૂર્વ માલિકે કરી CBIના વરિષ્ઠ અધિકારી સાથે મુલાકાત

નવી દિલ્હી- દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના ટોચના બે અધિકારી આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના ધમાસાણના પડઘા શાંત પડયા નથી ત્યાં વધુ એક ચોંકાવનારો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. વર્મા તથા અસ્થાનાને ફરજીત રજા પર ઉતારી દેવાયાના એક દિવસ પુર્વે જ આઈડીબીઆઈ બેંક સાથે 600 કરોડના ગોટાળામાં સંડોવાયેલા એરસેલના પુર્વ માલીક સાથે સીબીઆઈના અન્ય એક સીનીયર અધિકારીએ મુલાકાત કરી હતી.એવી વિગતો પ્રકાશમાં આવી છે કે એરસેલના પુર્વ માલિક સી.શિવશંકરનના સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર કક્ષાના અધિકારીએ ફાઈવસ્ટાર હોટલમાં મુલાકાત કરી હતી. આ પ્રકારની મુલાકાત સીબીઆઈના નિયમોની વિરુદ્ધ છે. સૂત્રોએ કહ્યું કે સીબીઆઈ અધિકારી સાથે મુલાકાત કરવાની હોવાથી એરસેલના પુર્વ માલિક શિવશંકરને પોતાની ઓળખ છુપાવી હતી અને જુદી ઓળખ સાથે બેઠક કરી હતી.

એરસેલના પુર્વ માલિક એવા ઉદ્યોગપતિ શિવશંકરન સામે ગત મે મહિનામાં લૂકઆઉટ નોટીસ જારી કરવામાં આવી હતી તેના આધારે તેમને વિદેશ જવા પર પ્રતિબંધ છે. લુકઆઉટ નોટીસ ધરાવનાર વ્યક્તિની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં સીબીઆઈ અધિકારી તેમને મળે તે યોગાનુયોગ ન જ હોઈ શકે.

આ ઘટનાક્રમ સરકારને વધુ એક વખત કફોડી હાલતમાં મુકી શકે તેમ છે. કારણ કે શિવશંકરન પર આઈડીબીઆઈ બેંક સાથે 600 કરોડના કૌભાંડનો આરોપ છે. આ કેસમાં બેંકને મેનેજીંગ ડાયરેકટર સહીતના સીનીયર અધિકારીઓના નામ સામેલ છે. સીબીઆઈમાં આંતરિક ધમાસાણને કારણે મોદી સરકાર કેટલાંક વખતથી ભીંસમાં છે જ તેવા સમયે વધુ એક સીનીયર અધિકારની રહસ્યમય મુલાકાત સરકાર સામે આંગળી ચિંધે તેવી આશંકા છે.

એરસેલના પુર્વ વડા શિવશંકરને સીબીઆઈ અધિકારી સાથે કોઈ ખાનગી મુલાકાત કર્યાનો સાફ ઈન્કાર કર્યો હતો. જો કે, એવી ચેતવણી કરી હતી કે સતાવાર મુલાકાત હતી. સીબીઆઈ તરફથી જ તેડાવવામાં આવ્યો હતો. કયા દિવસે આ બેઠક થઈ તે યાદ ન હોવાનો પણ દાવો કર્યો છે.

એરસેલના પુર્વ વડા પાસે હવે વિદેશી નાગરિકતા છે. સૂત્રોના કહેવા પ્રમાણે શિવશંકરન દિલ્હીની ફાઈવસ્ટાર હોટલના રૂમ નંબર 901માં હતા ત્યારે સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર કક્ષાના અધિકારીએ રૂમમાં મુલાકાત કરી હતી. આ જ દિવસે સીબીઆઈના હેડકવાર્ટર પર પણ શિવશંકરને હાજરી આપી હતી.