અરૂણ જેટલી, સુષમા સ્વરાજને ‘પદ્મવિભૂષણ’ મરણોત્તર એનાયત

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓને ‘પદ્મ’ એવોર્ડ્સ એનાયત કર્યા હતા. ભૂતપૂર્વ અને સદ્દગત કેન્દ્રીય પ્રધાનો – અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને ‘પદ્મવિભૂષણ’ એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. જેટલી તથા સ્વરાજનાં પરિવારજનોએ કોવિંદ પાસેથી એવોર્ડ સ્વીકાર્યો હતો. આ વર્ષે 16 વ્યક્તિઓને પદ્મ એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો છે.

સ્વ. અરૂણ જેટલીને જાહેર જીવનમાં પ્રદાન કરવા બદલ ‘પદ્મવિભૂષણ’ (મરણોત્તર) આપવામાં આવ્યો છે. અરૂણ જેટલી અસાધારણ સંસદસભ્ય અને પ્રતિભાશાળી એડવોકેટ હતા. એમણે દેશના ન્યાયતંત્ર, ચૂંટણી પ્રક્રિયામાં સુધારા લાવવામાં તેમજ સામાજિક તથા આર્થિક ક્ષેત્રે પ્રગતિશીલ કાયદાઓ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એવી જ રીતે, સ્વ. સુષમા સ્વરાજને પણ જાહેર જીવનમાં પ્રદાન કરવા બદલ સમ્માનિત કરવામાં આવ્યાં છે. તેઓ દૂરદ્રષ્ટિવાળાં, ભારતીય પરંપરાઓને સમર્પિત નેતા હતાં. દેશમાં મહિલાઓનાં સશક્તિકરણને વાસ્તવિક્તાનું રૂપ આપ્યું હતું.