અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો પર ત્યાની સરકારે કડક એક્શન લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ અમેરિકામાં ગેરકાયદે આવલે 104 લોકોને અમેરિકાએ પરત મોકલી દીધા છે. જે હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ફરી એક કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે અમેરિકા ગેરકાયદે વસવાટ કરતા 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો આદેશ આપી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, ‘અમેરિકાના સત્તાધીશોએ 487 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉટાવવામાં આવશે. અમે અમેરિકાની ઓથોરિટી સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. તેમજ તેમને આ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવા અપીલ કરીશું. હાલમાં જ ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયોને હાથમાં હથકડી, પગમાં બેડીઓ બાંધી લાવવામાં આવતાં વિપક્ષે અમાનવીય વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચાવ્યો હતો.’ વિદેશ સચિવે ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતાં એજન્ટ્સ, અને નેટવર્ક્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પર જોર કર્યું છે. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનને વેગ આપતી સમગ્ર ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ 2012માં અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશન પર વિરોધ થયો હોવાના સવાલ પર મિસ્રીએ જણાવ્યું કે, અગાઉ ક્યારેય અમેરિકામાંથી ડિપોર્ટેશન બાદ દેખાવો કે વિરોધ નોંધાયા હોવાના અહેવાલો નથી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)