મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજીવ અરોડાને ત્યાં દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાના નિવાસસ્થાને છેતરપિંડીવાળા જમીન લેવડદેવડથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે. અરોડા એ ખાનગી વ્યવસાયના માલિક છે, એમ EDનાં સૂત્રોએ જણાવ્યું હતું.

મની લોન્ડરિંગ કેસ (PMLA) હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમનો સંબંધ છેતરપિંડીના એક મામલાથી જોડાયેલો છે. તેમણે છેતરપિંડીના માધ્યમથી કંપનીને જમીન ટ્રાન્સફર કરી હતી. તેમના લુધિયાણા નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. પંજાબના 61 વર્ષીય આપ સાંસદના હરિયાણાના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાને તપાસ જારી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

EDએ સોમવારે સવારે આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાના ઘરે દરોડા પાડ્યા હતા, એમ AAP નેતા મનીષ સિસોદિયાએ માહિતી આપી હતી.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે આજે ફરી મોદીજીએ તેમના પોપટ-મેનાને મુક્ત કરી દીધા છે. આજે સવારથી EDના અધિકારીઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાના ઘરે દરોડા પાડી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં તેમણે અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડ્યા, મારા ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા. ક્યાંય કશું મળ્યું ન હતું, પરંતુ મોદીજીની એજન્સીઓ એક પછી એક ખોટા કેસો બનાવવામાં વ્યસ્ત છે.આ લોકો આમ આદમી પાર્ટીને તોડવા માટે કોઈ પણ હદ સુધી જશે. પરંતુ તેઓ ગમે તેટલી કોશિશ કરે, આમ આદમી પાર્ટીના લોકો ન તો અટકશે, ન તો વેચાઈ જશે, ન ડરશે. આપ સાસંદ સંજય સિંહે પણ દરોડાને લઈને કેન્દ્ર પર હુમલો કર્યો હતો.