‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમોનો આજથી શુભારંભ

અમદાવાદ/નવી દિલ્હીઃ ભારત દેશ આવતા વર્ષની 15મી ઓગસ્ટે પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરશે. એ પ્રસંગને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર આજથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નામનો એક દેશવ્યાપી કાર્યક્રમ શરૂ કરી રહી છે. આ કાર્યક્રમની શરૂઆત દેશની આઝાદીમાં આગળ પડતો ભાગ ભજવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કર્મસ્થળ સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી આજથી કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10.30 વાગ્યે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આજે સાબરમતી આશ્રમમાંથી દાંડી યાત્રા (પદયાત્રા)માં સામેલ થઈને એનો શુભારંભ કરાવશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગતના વિવિધ કાર્યક્રમો 75 સપ્તાહ સુધી ચાલશે. દાંડી યાત્રાનું દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના દાંડી નગરમાં સમાપન થશે.

કાર્યક્રમને 12મી માર્ચનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે મહાત્મા ગાંધીએ અંગ્રેજો વિરુદ્ધ દાંડી યાત્રાની શરૂઆત 91 વર્ષ પહેલાં, 1930ની આ જ, 12 માર્ચની તારીખે કરી હતી. દાંડી કૂચનું આયોજન કરીને ગાંધીજીએ અંગ્રેજ શાસકો દ્વારા મીઠાં (નમક) પર લગાવેલા વેરા વિરુદ્ધ અહિંસક, સત્યાગ્રહ આંદોલન આદર્યું હતું. દાંડી ગામ અમદાવાદના સાબરમતી આશ્રમથી 390 કિ.મી. દૂર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલું છે. એ વખતે ગાંધીજીએ 78 જણ સાથે દાંડી યાત્રા શરૂ કરી હતી અને 25 દિવસમાં પૂરી કરી હતી.