કોરોનાના 47,092 નવા કેસઃ કેરળમાં 69.65 ટકા કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળાના નવા કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં કોરોના કેસોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 12.2 ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે નવા કેસોમાં નોંધપાત્ર વધારાએ સૌને ચિંતિત કર્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,092 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 509 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળ છે, જ્યાં 32,803 કેસો નોંધાયા છે અને 173 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસો પૈકી એકલા કેરળમાં 69.65 ટકા કેસો છે.

દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,28,57,937 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,39,529 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,20,28,825 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 35,181 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,89,583એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.48 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,84,441 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.60 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 66.30 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 66,30,37,334 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 81,09,244 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.