જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળાં લોકો માટે 10 ટકા અનામત ખરડાને લોકસભાએ પાસ કર્યો

નવી દિલ્હીઃ નોન-રિઝર્વ્ડ અથવા જનરલ કેટેગરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગોનાં લોકો માટે સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા બેઠક અનામત રાખવા માટેનો માર્ગ આજે મોકળો થઈ ગયો છે. દેશના બંધારણમાં 124મા સુધારા માટેના ખરડાને આજે લોકસભાએ બે-તૃતિયાંશ બહુમતીથી પાસ કરી દીધો છે. આ ખરડાનો ઉદ્દેશ્ય દેશમાં સવર્ણ જાતિઓનાં ગરીબ લોકોને અનામતનો લાભ આપવા માટેનો છે.

આ ખરડો હવે આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ત્યાં પણ પાસ થઈ ગયા બાદ ખરડાને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને તેઓ એની પર હસ્તાક્ષર કરી દેશે એ સાથે જ કાયદો અમલમાં આવી જશે.

કેન્દ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોતે બંધારણીય સુધારાને આજે લોકસભામાં રજૂ કર્યો હતો. વિસ્તૃત ચર્ચા બાદ એને 323 વિરુદ્ધ 3 મતોથી પાસ કરી દેવામાં આવ્યો હતો.