મુંબઈઃ એસી લોકલે લાલ સિગ્નલ તોડ્યું, મોટરમેન સામે તપાસ શરૂ

મુંબઈ – પશ્ચિમ રેલવે વિભાગ પર દોડાવવામાં આવતી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનના એક મોટરમેને લાલ સિગ્નલ તોડ્યાની ઘટના ગઈકાલે બની હતી.

સદ્દભાગ્યે એ ઘટના ચર્ચગેટ સ્ટેશન નજીકના યાર્ડમાં બની હતી અને વહેલી સવારે બની હતી તેમજ એ વખતે ટ્રેન ખાલી હતી. પરંતુ, મોટરમેનની લાપરવાહી વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. સવારે 4.50 વાગ્યે તે મોટરમેને ટ્રેનની ટ્રાયલ શરૂ કરી ત્યારે ઘટના બની હતી.

ચર્ચગેટ યાર્ડમાં 10 નંબરના લાલ સિગ્નલને તોડીને ટ્રેનને આગળ લઈ જવા બદલ મોટરમેન રમેશ ચાંદ મીના અને ગાર્ડ નીરજકુમાર સામે તાત્કાલિક રીતે તપાસ હાથ ધરવામાં આવી છે.

તપાસ દરમિયાન મોટરમેને એવો દાવો કર્યો હોવાનું મનાય છે કે ટેકનિકલ ખરાબી ઊભી થવાને કારણે ટ્રેન આગળ નીકળી હતી.