70% વસ્તીનું કોરોના-રસીકરણ પૂર્ણ થયું

મુંબઈઃ કોરોનાવાઈરસ મહામારી વિરુદ્ધના જંગમાં મહારાષ્ટ્ર સરકારને બે મોટી સફળતા હાંસલ થઈ છે. એક, પાટનગર મુંબઈમાં 70 ટકા વસ્તીને રસીના બંને ડોઝ આપવાનું કામ પૂરું થયું છે. જ્યારે રાજ્યમાં રસીના કુલ 11 કરોડ ડોઝ અપાઈ ગયા છે. આ બાબતમાં, દેશમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે. પહેલા નંબરે ઉત્તર પ્રદેશ છે – 15 કરોડથી વધારે ડોઝના આંકડા સાથે. ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ આવે છે. 70 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ હાંસલ કરનાર મુંબઈ મહારાષ્ટ્રનો પહેલો જિલ્લો બન્યો છે.

‘હર ઘર દસ્તક’ ઝુંબેશને સરસ પ્રતિસાદ મળ્યો છે અને તેનાથી રસીકરણમાં ઝડપ આવી છે. પરંતુ હજી આશરે એક કરોડ જેટલા લોકોએ રસીનો પહેલો ડોઝ લેવાનો પણ બાકી છે. 92 લાખ લોકો એવા છે જેમણે એમનો બીજો ડોઝ હજી સુધી લીધો નથી. રાજ્ય સરકારે આ પહેલાં નક્કી કરેલું કે 30 નવેમ્બર સુધીમાં પહેલા ડોઝ માટે 100 ટકા રસીકરણ કામ પૂરું કરવું છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 129 કરોડ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે.