મુંબઈમાં મેલેરિયાનો ફેલાવો રોકવામાં મહાપાલિકા સફળ

મુંબઈઃ ગયા મહિને મુંબઈ શહેરમાં મેલેરિયાના દર્દીઓની સંખ્યા વધવા માંડતા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો હતો અને એણે ઝડપથી લીધેલા પગલાંને કારણે તે રોગ ફેલાતો અટક્યો છે.

સપ્ટેમ્બરમાં આ રોગ નિયંત્રણમાં આવ્યો છે અને તેના દર્દીઓની સંખ્યા ઘટી છે.

ઓગસ્ટમાં મેલેરિયાના 1,137 દર્દીઓ નોંધાયા હતા. એની સરખામણીમાં સપ્ટેમ્બરમાં 317 દર્દીઓ નોંધાયા છે.

ઓગસ્ટમાં, ગેસ્ટ્રોના 53, લેપ્ટોસ્પાઈરોસીસના 45, હેપેટાઈટિસના 10 અને ડેંગ્યૂના 10 દર્દીઓ નોંધાયા હતા.

13 સપ્ટેમ્બર સુધીમાં મુંબઈમાં મેલેરિયાના 317, ગેસ્ટ્રોના 49, લેપ્ટોના 24, હેપેટાઈટિસના આઠ, ડેંગ્યૂના પાંચ અને સ્વાઈન ફ્લૂના એક દર્દીની નોંધણી થઈ હતી.

જુલાઈ મહિનામાં મુંબઈમાં મેલેરિયાના દર્દીઓની સંખ્યા 872 હતી જ્યારે લેપ્ટોના 14, ગેસ્ટ્રોના 53, કમળાના એક અને ડેંગ્યૂના 11 દર્દી હતા.

આમ, ઓગસ્ટમાં દર્દીઓની સંખ્યા વધી ગયા બાદ મહાપાલિકા ચેતી ગયું હતું. પાલિકા સંચાલિત મુખ્ય હોસ્પિટલો તેમજ ઉપનગરોમાંની હોસ્પિટલોમાં ચોમાસાને લગતી બીમારીઓના દર્દીઓ માટે દોઢ હજાર વધુ પલંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મેલેરિયાને રોકવા માટે મહાપાલિકા નાગરિકોને સતત માર્ગદર્શન આપે છે. જેમ કે, ખાબોચીયામાં પાણી જમા થવા દેવું નહીં, તેમજ તાવ આવે, માથું દુખે, ઊલટી થાય, થાક જેવા લક્ષણો લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લઈને ઉપચાર કરવા.