ભગવદ ગીતાના કોર્સમાં ૧૭૫ વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ ઊજવાયો

મુંબઈઃ કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) દ્વારા આયોજિત વૈદિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ સ્વરૂપે હાજર રહેલા સ્વામીનીજીએ વિદ્યાર્થીઓ સમક્ષ શિક્ષાવલી અને દીક્ષાંત તેમ જ ધર્મ, કર્મ અને આચારણ વિશે સરળ શબ્દોમાં સમજ આપતું વક્તવ્ય કર્યું હતું. કેઈએસના પંચોલિયા સભાગૃહમાં આયોજિત આ કાર્યક્રમમાં સંખ્યાબંધ શિક્ષકો તેમ જ ભગવદ ગીતાના ૧૮ દિવસનાં કોર્સમાં સહભાગી બની પરીક્ષા આપનાર આશરે ૧૭૫ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને સ્વામીનીજીને હસ્તે સર્ટિફિકેટનો સ્વીકાર કર્યો હતો. આ ઉજવણી નોખી રીતે ઉજવવા વિદ્યાર્થીઓને ખેસ પહેરીને આવ્યા હતા અને તેમને પશ્રિમી ઢબે નહીં, બલકે ભારતીય ગુરુકુળની પરંપરાના ભાગરૂપ સજજ કરાયા હતા.

તેમણે. દીક્ષાંતના મહત્વ વિશે જણાવતાં તેમણે ૧૬ સંસ્કારોની વાત કરી હતી. આપણા દેશની વૈદિક સંસ્કૃતિ જેવી શ્રેષ્ઠ સંસ્કૃતિ જગતમાં કયાંય નથી.  આ ૧૬ સંસ્કારોમાં છેલ્લે અંતિમ સંસ્કાર આવે છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યુ હતું કે ધર્મનું શિક્ષણ લીધા બાદ ધર્માચરણ થવું જોઈએ, તેના વિના જીવન નિરર્થક છે. છેલ્લે યમરાજ લેવા આવે ત્યારે આપણે તૈયાર હોવા જોઈએ, પણ જીવનના સત્ય-ધર્મને સમજયા વિના જીવી જનારા આખર સુધી તૈયાર થઈ શકતા નથી. હવે તમે વિદ્યાર્થીઓ ભગવદ ગીતાનો અભ્યાસમાંથી પસાર થયા છો તો તમારા જીવનમાં તેનું આચરણ કરો એવો તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

છેલ્લે અમુક વિદ્યાર્થીઓએ પોતાના આ અભ્યાસ-કોર્સ વિશેના અનુભવ અને લાગણી  વ્યકત કર્યા હતા. કેઈએસ સંસ્થા છેલ્લાં ચારેક વરસથી ભગવદ ગીતાનો કોર્સ ચલાવે છે, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. કેઈએસના ઉપપ્રમુખ મહેશ શાહે આ અવસરે પ્રસન્નતા વ્યકત કરતાં પ્રાસંગિક વિચારો જણાવ્યા હતા. ડિરેક્ટર ડો. લીલી ભૂષણે પણ વિદ્યાર્થીઓમાં આ વિષયનો ઉત્સાહ વધારવા સાથે તેમને બિરદાવ્યા હતા.