આ વર્ષે 18 કરોડથી વધુ લોકો રાજ્યના મહેમાન બન્યાં!

ગાંધીનગર: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૭મી સપ્ટેમ્બર ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ
જણાવ્યું હતું, રાજ્યમાં વર્ષ 2023-24માં કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ગુજરાતમાં વર્ષ 2023-24 દરમિયાન કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, આમાં 17.50 કરોડ સ્થાનિક પ્રવાસીઓ તેમજ 23.43 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં 11.38 કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે 7.21 કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. ગત વર્ષ 2022-23 દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 14.98 કરોડ હતી. એટલે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. દેશભરમાંથી સૌથી વધુ 1.65 કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતે મા અંબાના દર્શનનો લાભ લીધો. જ્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે 97.93 લાખ, દ્વારકા ખાતે 83.54 લાખ, મહાકાળી મંદિર પાવાગઢ ખાતે 76.66 લાખ તેમજ ડાકોર ખાતે 34.22 લાખ એમ કુલ મળીને 457.35 લાખ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો. જ્યારે બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં 2.26 કરોડથી વધુ જ્યારે સુરતમાં 62.31 લાખ, વડોદરામાં 34.15 લાખ, રાજકોટમાં 18.59 લાખ અને ભરૂચમાં 17.72 લાખ એમ કુલ 358.77 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર 79.67 લાખ, સાબરમતી રિવરફ્રન્ટની 44.76 લાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 43.52 લાખ, સાયન્સ સિટીની 13.60 લાખ તેમજ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાની 11.39 લાખ એમ કુલ મળીને 192.96 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજ રીતે હેરિટેજ એટલે કે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં પણ ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. જેના ભાગરૂપે ઐતિહાસિક શહેર વડનગરની 6.93 લાખ, પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની 4.06 લાખ, ગાંધીનગર સ્થિત અડાલજ વાવની 3.86 લાખ, યુનેસ્કોની યાદીમાં વૈશ્વિક વારસામાં સ્થાન પામેલ પાટણમાં આવેલી રાણી કી વાવની 3.83 લાખ, તેમજ એકમાત્ર સૂર્ય મંદિર મોઢેરાની 3.81 લાખ એમ કુલ મળીને 22.49 લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વધુને વધુ વેગ મળે અને પ્રવાસીઓને પ્રવાસનક્ષેત્રને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે. જેમ કે બોર્ડર ટુરિઝમ તરીકે -નડાબેટ અને કચ્છના સરક્રિક ખાતે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ, ડાયનોસોર ફોસીલ પાર્ક-બાલાસિનોર, પોરબંદરના મોકરસાગર ખાતે વેટલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બેટ-દ્વારકા ખાતે ટુરિસ્ટ ફેસીલીટીનો વિકાસ, ધરોઇ ડેમનો વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ, ગુજરાતની ઓળખ સમા એશિયાટિક લાયનના વિસ્તાર એવા ગીરની આસપાસના સ્થળોને આવરી લઈને ગ્રેટર ગીર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અને બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુરને વૈશ્વિક કક્ષાના બીચ તરીકે વિકસાવવાના કામો હાલ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.