ગિરનારમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મિની કુંભનો પ્રારંભ

ગિરનાર પર્વતની પવિત્ર તળેટીમાં આજથી ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મિની કુંભ તરીકે ઓળખાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળો 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

ભવનાથ મહાદેવ મંદિર પર 55 કિલોના પિત્તળના નવનિર્મિત ધ્વજદંડ પર શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. આ ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. મંદિરના શિખર પર આ નવો ધ્વજ ફરફરતો જોવા મળી રહ્યો છે, જે ભક્તોમાં ભક્તિનો નવો ઉત્સાહ જગાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Girnar & junagadh (@aapdo_girnar)

આ વર્ષે મેળામાં ખાસ વાત એ છે કે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા આજે સાંજે 7 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈને ભવનાથ મંદિર સુધી (લગભગ 400 મીટર) નીકળશે. સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરીને સંતોનું સ્વાગત કરશે. યાત્રાના સમાપન બાદ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં ભાગ લેશે.

આ વર્ષે મેળામાં વાહનો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી આગળ વાહનોના પ્રવેશ પર રોક લાગુ કરાઈ છે, જેથી ભક્તોને પગપાળા જવું પડશે. આનાથી ટ્રાફિક વ્યવસ્થા સરળ રહેશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. આ માટે ST નિગમ દ્વારા 195 વધારાની બસો અને હજારો ટ્રીપોની વ્યવસ્થા કરવામાં આવી છે.