દીકરાને ટિકિટ ન મળવા પર શું બોલ્યા મેનકા ગાંધી?

નવી દિલ્હી: મેનકા ગાંધીએ સુલતાનપુરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે જો કે પીલીભીતથી તેમના પુત્ર વરુણ ગાંધીની ટિકિટ રદ કરી છે. મેનકા ગાંધીએ સુલતાનપુર સીટ પર પોતાની સંભાવનાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘આખા દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની લહેર છે. સુલતાનપુરમાં પણ એ જ લહેર ચાલી રહી છે અને એ લહેરમાં હું પણ સામેલ છું.પીલીભીતથી તેમના પુત્રની ટિકિટ રદ થવા પર પ્રતિક્રિયા આપતા મેનકા ગાંધીએ કહ્યું, ‘તેમણે પીલીભીતની ખૂબ કાળજી લીધી. મને તેમના પર ખૂબ ગર્વ છે. જ્યારે વરુણને પીલીભીત છોડવું પડ્યું ત્યારે લોકો ખૂબ રડ્યા હતા. મને પૂરી આશા છે કે વરુણ આગળ જે પણ કરશે તે દેશ માટે સારું જ હશે. પીલીભીતથી ટિકિટ ન મળતા વરુણ ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે. 3 એપ્રિલે પીલીભીતમાં ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ સંમેલનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હોવા છતાં, વરુણ ગાંધી મંચ પર જોવા મળ્યા ન હતા. પીલીભીતથી બીજેપી ઉમેદવાર જિતિન પ્રસાદ સીએમ યોગીની સાથે કાર્યક્રમમાં હાજર હતા.ગુરુવારે સુલતાનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા મેનકા ગાંધીએ કહ્યું હતું કે, ‘હું સાંસદ તરીકે નહીં પરંતુ સેવક તરીકે જનતા માટે કામ કરું છું. હું વચનોમાં માનતી નથી, હું વિકાસમાં માનું છું. ઉત્તર પ્રદેશમાં સુલતાનપુરમાં ગરીબોને સૌથી વધુ 1.30 લાખ મકાનો મળ્યા છે. ચૂંટણી બાદ 1 લાખ વધુ ગરીબોને ઘર મળશે. હું ત્યાં છું ત્યાં સુધી દરેકને ન્યાય મળશે. દરેક અસંભવ કાર્ય પાંચ વર્ષમાં પૂર્ણ થયું છે.