સૌરાષ્ટ્રનું એક એવું ગામ જ્યાં મતદાન ન કરો તો થાય દંડ

રાજકોટ: ઉનાળાની આકરી ગરમી વચ્ચે લોકસભની ચૂંટણીનો ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મંગળવારને ૭મી મેના રોજ ગુજરાતમાં ૨૫ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે વધુ મતદાન કરાવવા રાજકીય પક્ષો જોર લગાવી રહ્યા છે. આ માહોલમાં વાત કરીએ એક એવાં ગામની જ્યાં મતદાન ન કરનારને દંડ કરવામાં આવે છે. આ ગામ રાજકોટથી ૨૨ કિલોમીટર દૂર આવેલું રાજસમઢીયાળા ગામ છે.રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર આવેલા આ ગામની વસ્તી માત્ર ૧૫૦૦ લોકોની છે. પરંતુ આ ગામ અનેક રીતે અનોખુ છે. ચૂંટણી વખતે ગામમાં કોઈપણ રાજકીય પક્ષોને આવવાની મનાઈ છે અને ગામમાં કોઈ પત્રિકા વહેંચવાની અને બેનરો લગાવવાની મનાઈ છે. ગામમાં ચૂંટણીના કારણે જુદાં-જુદાં સમાજ વચ્ચે વેર ઊભા ન થાય એ માટે સ્થાનિક વિકાસ સમિતિએ આવો નિર્ણય કર્યો છે.રાજસમઢીયાળાના પૂર્વ સરપંચ અને આગેવાન હરદેવસિંહ જાડેજા ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે, “અમારા ગામમા કોઈ મતદાર મતદાન ન કરે તો રૂ.૫૧ દંડ કરવામાં આવે છે. હા કોઈ વ્યક્તિ અનિવાર્ય સંજોગો કે ઇમરજન્સી હોય તો વિકાસ સમિતિને જાણ કરીને જાય તો દંડ કરવામાં આવતો નથી. ગામમા ૯૫૫ મતદાર છે છેલ્લી પાંચ ચૂંટણીમાં ૯૬ ટકા મતદાન થયું છે. દરેક મતદાર સ્વતંત્ર રીતે મતદાન કરે છે.”આ ગામના અન્ય નિયમો વિશે વાત કરીએ તો ગામમાં ફટાકડા ફોડવાની મનાઈ છે. પર્યાવરણની જાલવળી થાય તે માટે કોઈ ઊભા વૃક્ષને નુકશાન કરે તો રૂ.૫૦૧ દંડ કરવામાં આવે છે અને કોઈએ સ્થાનિક સમિતિને જાણ કર્યા વગર પોલીસ ફરિયાદ કરવી નહી, ગામમા વર્ષોથી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ગામમા ભાઇચારાથી લોકો રહે છે. ગામ નજીક જિલ્લા સ્તરનું ક્રિકેટ ગ્રાઉન્ડ અને આધુનિક ગ્રામ પંચાયત છે.

દેવેન્દ્ર જાની – રાજકોટ
તસવીર –  નિશુ કાચા