મુંબઈના બોરીવલી ખાતે કલા અને સાહિત્ય કાર્યક્રમ ઝરૂખોનું આયોજન થતું રહે છે. પણ આ વખતનો કાર્યક્રમ ખૂબ જ ખાસ રહેવાનો છે. અભિનેત્રી લીલી પટેલ પોતાને અનુભવો અને વ્યવસાયિક જીવનના ઉતાર-ચઢાવ વિશે વાત કરશે.

ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મના વરિષ્ઠ કલાકાર લીલી પટેલ 2 ઓગસ્ટ, શનિવારની સાંજે ઝરૂખો કાર્યક્રમની શોભા વધારશે. જીવનના આઠ દાયકા બાદ પણ કલાકારમાં કલા પ્રત્યે કેટલી પ્રતિબદ્ધતા હોય, કેટલી ઉર્જા હોય એનો અનુભવ જાણવો હોય તો કાર્યક્રમમાં તમે પણ સામેલ થઈ શકો છો.
મુંબઈમાં લુપ્ત થવાની નજીક ગણી શકાય એવી ‘ભવાઈ’ને લીલી પટેલે દાયકાઓથી સાચવી રાખી છે. અગાઉ તેઓ રંગલાલ નાયક સાથે રંગલા રંગલીનો વેશ ભજવતાં. ત્યાર બાદ રંગલાલભાઈના પુત્ર ઘનશ્યામ નાયક સાથે ટીવી તથા અન્ય કાર્યક્રમોમાં રજૂઆત કરીને એમણે આ કળાને જીવંત રાખી. ઘનશ્યામભાઈના અવસાન બાદ નાયક પરિવારની ત્રીજી પેઢીના વિકાસ ઘનશ્યામ નાયકને સાથે રાખીને એમણે ભવાઈના પ્રસાર પ્રચારનું કાર્ય નિભાવ્યું છે.

‘ઝરૂખો ‘ની શનિવારની સાંજે લીલી પટેલની અભિનય યાત્રાની વાત તો થશે જ, સાથે સાથે લીલી પટેલ અને વિકાસ નાયક ભૂંગળના સૂર અને તબલાંની વિશિષ્ટ ઠેક સાથે ભવાઈની દુનિયાની સેર કરાવશે. છેલ્લી થોડા ટાઈમ માટે ભાવકો લીલી પટેલ સાથે વાતચીત પણ કરી શકશે. મનમાં ઉદ્ભવતાં પ્રશ્નો પણ પૂછી શકશે.
કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. આ જાહેર કાર્યક્રમમાં ઈચ્છુક દરેક કલાપ્રેમી ભાગ લઈ શકશે.


