કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ને નથી મળ્યું સર્ટિફિકેટ

ફિલ્મ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝને રોકવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડે હાઈકોર્ટને જણાવ્યું કે ફિલ્મની રિલીઝ માટેનું પ્રમાણપત્ર હજુ સુધી જારી કરવામાં આવ્યું નથી. સેન્સર બોર્ડે કોર્ટને જણાવ્યું કે ફિલ્મ વિરુદ્ધ ફરિયાદો મળી છે અને સેન્સર બોર્ડ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. જો શીખ ધર્મની ભાવનાઓ વિરુદ્ધ કંઈ જોવા મળે તો તે દ્રશ્યો ફિલ્મમાંથી હટાવી શકાય છે. ભારત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ સત્યપાલ જૈન હાઈકોર્ટમાં હાજર થયા અને આ તમામ માહિતી કોર્ટને આપી.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું?

હાઈકોર્ટે અરજદાર વકીલ ઈમાન સિંહ ખારાને કહ્યું કે જ્યારે સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી આપી નથી, ત્યારે અરજી પર હજુ સુનાવણી થઈ શકે નહીં. ફિલ્મ રીલીઝ થયા પછી, તમને જે વાંધો હોય તે અંગે ફરીથી અરજી દાખલ કરો. આ સાથે અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શીખ ધર્મ સાથે જોડાયેલી ભાવનાઓને ધ્યાનમાં રાખવાની જરૂર છેઃ સેન્સર બોર્ડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને હાઈકોર્ટને કહ્યું છે કે કોઈપણ ફિલ્મને રિલીઝ સર્ટિફિકેટ આપતી વખતે અને રિલીઝ કરતા પહેલા કોઈપણ ધર્મ સાથે જોડાયેલી ભાવનાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઈમરજન્સી ફિલ્મની રિલીઝ પહેલા પણ શીખ ધર્મ સાથે જોડાયેલી ભાવનાઓ અને વાંધાઓને ધ્યાનમાં રાખવામાં આવશે. પંજાબમાં ફિલ્મની રિલીઝને રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજીનો હાઇકોર્ટે હાલ પૂરતો નિકાલ કરી દીધો છે. હાઈકોર્ટ તરફથી ફિલ્મની રિલીઝ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ સીબીએફસીએ પોતે હજુ સુધી ફિલ્મને મંજૂરી આપી નથી.