ગયા બુધવારે કાંદિવલીની કોલેજનો પંચોલિયા સભાગૃહ યુવા વર્ગથી છલકાઈ ગયો હતો અને દરેકની આંખો સામે એક તસવીર તરવરતી હતી, જેનું નામ સ્વામી વિવેકાનંદ.

ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (આઈકેએસ)ના અંતર્ગત કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) કાંદિવલીએ એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ છે સેન્ટર ફોર સ્વામી વિવેકાનંદ સ્ટડીઝ.
મુંબઈમાં ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (આઈકેએસ)ના અંતર્ગત કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) દ્વારા સેન્ટર ફોર સ્વામી વિવેકાનંદ સ્ટડીઝ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્ર નિર્માણના યાદગાર પાઠ શીખવનાર સ્વામી વિેવેકાનંદના સિધ્ધાંતોને કેન્દ્રમાં રાખી આ આયોજન કરવામાં આવ્યું હતું.

રામ કૃષ્ણ મિશન (ખાર)વતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સ્વામી આત્મશ્રધ્ધાનંદજીએ પોતાના વકતવ્યમાં કેઇએસની આ પહેલ વિશે કહ્યું કે સ્વામીજીના વિચારો જનરેશન ટુ જનરેશન દરેકને ચરિત્ર અને રાષ્ટ્ર નિર્માણનો ઉત્તમ માર્ગ બતાવતા રહ્યા છે. નેતાજી સુભાષચંદ્ર, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર સહિતની અનેક હસ્તીઓ વિવેકાનંદજીના વિચારોથી પ્રભાવિત હતા અને તેને અનુસરનારા હતા. ટાગોરે તો ત્યાંસુધી કહ્યું હતું કે જો કોઈ વ્યકિત ભારતને સમજવા માગતું હોય તો તેણે સ્વામી વિવેકાનંદજીને વાંચવા જોઈએ. સ્વામીજીનું ટિચિંગ એ બહેતર માનવી બનવાનો પથ છે.
સ્વામી શ્રધ્ધાનંદજીએ વધુમાં કહ્યું હતું કે જીવનનો ઉદેશ સમજવો સૌ માટે જરૂરી છે. યુવાનોને રાષ્ટ્રના ભાવિ નિર્માતા ગણાવતા તેમણે ઉમેર્યુ હતું કે તમારે સમાજ પર બોજરૂપ બનવું છે કે સમાજના હિતચિંતક અને તેના વિકાસમાં ફાળો આપનાર બનવું છે? સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો અને વિચારો માર્ગ બતાવી શકે છે. તેમના મતે માણસ જે પણ કામ કરે તે ઉત્તમ રીતે કરવું જોઈએ, પછી તે બગીચાનો માળી હોય કે કારનો ડ્રાઈવર, મિકેનિક હોય કે એકાઉન્ટન્ટ હોય. આપણું ચરિત્ર આપણે બીજા સાથે શું અને કેવો વ્યવહાર કરીએ છીએ તેના આધારે નકકી થાય છે.આ સાથે રામકૃષ્ણ મિશનની સ્થાપના તેમ જ તેની પ્રવૃતિઓની ઝલક આપી હતી.ઊઠો,જાગો અને લક્ષ્ય હાંસલ ન થાય ત્યાંસુધી મંડ્યા રહો આ તેમનો સંદેશ આજે પણ અકબંધ અને યાદગાર રહી સૌને પ્રેરણા આપતો રહે છે.

કાર્યક્રમના આરંભમાં સ્વામી આત્મશ્રધ્ધાનંદજીનું કેઇએસ પ્રેસિડન્ટ મહેશ શાહે અભિવાદન કર્યા બાદ પોતાના પ્રાસંગિક વકતવ્યમાં કહ્યું હતું કે દરેક જણ પાસે મોબાઇલ હોય છે તેમ દરેકનું માઈન્ડ પણ મોબાઈલ સમાન હોય છે,જે સ્થિર રહેતું નથી. સ્વામીજીનું શિક્ષણ આ માઈન્ડને સ્થિર કરવાની દિશામાં પથદર્શક બને એવું છે. મહેશ શાહે કહ્યું હતું કે આપણી પાસે અહી ઈન્ફ્રાસ્ટ્રકચર છે, આપણે ઈન્ટ્રાસ્ટ્રકચર પર ધ્યાન આપવું જોઈએ,જેને આપણી ભીતરનું જગત કે આંતરમાળખું કહીએ.જો માણસે પોતે સુખી થવું હશે તો તેણે પોતાની ભીતર ઉતરવું પડશે.

કેઇએસ શ્રોફ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.લિલિ ભુષણે મેનેજમેન્ટની આ પહેલને અને દિર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી.એ પહેલાં પ્રોફેસર સમ્રાટ શ્રીવાસ્તવે આઈકેએસના ઉદ્દેશ અને વિષયો વિશે વાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જાહ્નવી જોષીએ રસપ્રદ અને ઉચ્ચત્તમ શબ્દોમાં કર્યુ હતું. આ પ્રસંગે કેઇએસના વાઇસ પ્રેસિડન્ટ મહેશ ચંદારાણા, ટ્રેઝરર ઉદય શાહ, એકેડેમિક એડવાઈઝર અને ટીપી ભટિઆ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંગીતા શ્રીવાસ્તવ અને અન્ય ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા.




