સમાજમાં કિડનીના રોગની સમસ્યા વધતી જઈ રહી છે ત્યારે તેના ઉપાયો અર્થે સમાજના અગ્રણીઓ-દાતાઓ સક્રિય થઈ જરૂરતમંદ વર્ગ માટે આગળ આવી રહયા છે. ગયા મંગળવારે કાંદિવલીની ચવાણ હોસ્પિટલમાં કિડની ડાયાલિસિસની સુવિધા વિનામુલ્ય ઉપલબ્ધ બનાવવા રોટરી કલબ ઓફ મુંબઈ સાથે સંકળાયેલી રોટેરિયન સંસ્થાઓ દ્રારા સાત ડાયાલિસિસ મશીનો ડોનેશનમાં અપાયા હતા. જયારે બીજા બે મશીન લાયન્સ કલબ ઓફ મહાવીર નગર ચેરિટેબલ ટ્રસ્ટ( દાતા રોહિત શાહ) અને બીજા અનંતરાય શેઠ તરફથી અપાયા હતા.

અહી ગરીબ-જરૂરતમંદ વર્ગના કિડની દર્દીઓને આયુષમાન કાર્ડ સામે ફ્રી ડાયાલિસિસ સવલત અપાય જ છે, પણ હવે તે સુવિધામાં ઓર વધારો થયો છે. આ સાત મશીનોમાંથી બે મશીન એમ.બી. ઝૈદી મેમોરિએબલ ચેરિટેબલ ટ્રસ્ટ, એક મશીન ફિલિપ્સ સર્વિસિસ ઈન્ડિયા લિ., ૨ મશીન ફેરફ્રેઈટ લાઈન્સ પ્રા.લિ. અને ૨ મશીન અનેરી જયોતિ ટ્રસ્ટ તરફથી અપાયા છે.

કાંદિવલીના દહાણુકર વાડી વિસ્તારમાં આવેલી ચવાણ હોસ્પિટલના હેડ ડો. વિશાલ ચવાણે આ અવસરે રોટેરી સંસ્થાઓનો અભાર માનતા કહયું હતું કે અમારી સંસ્થા ૧૯૮૨થી કાર્યરત છે. હવે ટુંકસમયમાં અહી કેથલેબની સુવિધા પણ શરૂ કરાશે એવી પણ તેમણે જાહેરાત કરી હતી, જેથી હ્રદય સંબંધી માંદગીઓના ઉપાય પણ બહેતર રીતે થઈ શકશે.

આ પ્રસંગે રોટેરિયન સંદીપ અગરવાલા (ડિસ્ટ્રિકટ ગવર્નર-વરસ ૨૨-૨૩) એ જણાવ્યું હતું કે “અમે છેલ્લા પાંચ વરસમાં ૧૦૫ મશીનો ડોનેટ કર્યા છે, આગામી ૩થી ૪ વરસમાં આ સંખ્યા ૨૦૦થી વધુ કરવાનું લક્ષ્ય છે. આજના અવસરને ચવાણ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરના અપગ્રેડેશન અને ઈનોગરેશન તરીકે ગણાવાયો હતો.” આ પ્રસંગે ડાયાલિસિસ કમિટિના ચેરપર્સન સ્વાતિ જાજોદિયા, કાંદિવલીના જાણીતા ડો. ગીરિશ ત્રિવેદી સહિત રોટેરી સાથે સંકળાયેલી વિવિધ દાતા હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.




