અમેરિકા: ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પોતાના એ નિવેદનનો બચાવ કર્યો છે કે જેમાં તેમણે કહ્યું હતું કે, તેમને આશા છે કે તેમની પત્ની ઉષા વેન્સ, જે હિન્દુ છે, એક દિવસ ખ્રિસ્તી ધર્મ અપનાવશે. વેન્સે આ નિવેદન પર પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેમના પત્ની ઉષા હિન્દુ જ રહેશે. ઘણા વર્ષો પહેલા ઉષાએ જ મને મારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હતી. વેન્સે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, “મારી પત્નીએ મને મારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હતી. તે પોતે ખ્રિસ્તી નથી અને ધર્મ પરિવર્તન કરવાની તેની કોઈ યોજના નથી. પરંતુ ઘણા આંતરધાર્મિક લગ્નોની જેમ, મને આશા છે કે એક દિવસ તે વસ્તુઓને મારા જેવી જ જોઈ શકશે.”
બુધવારે મિસિસિપીમાં ટર્નિંગ પોઇન્ટ યુ.એસ.એ. (TPUSA) રેલીમાં એક પ્રશ્નના જવાબમાં, વેન્સે કહ્યું કે તેઓ ખ્રિસ્તી ગોસ્પેલમાં માને છે અને આશા રાખે છે કે તેમની પત્ની એક દિવસ તેને એ જ રીતે સમજશે. તેમણે સમજાવ્યું કે ઉષા વેન્સનો ઉછેર હિન્દુ પરિવારમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર ખૂબ ધાર્મિક નહોતો. વેન્સે કહ્યું કે તેમની પત્ની દર રવિવારે પરિવાર સાથે ચર્ચમાં જાય છે, અને તેમના બાળકોનો ઉછેર ખ્રિસ્તી પરંપરામાં થયો હતો. તેમણે એમ પણ કહ્યું, “ઉષા મને બાપ્તિસ્મા આપનાર પાદરીની વધુ નજીક છે, કદાચ મારાથી પણ વધુ નજીક.”
જો કે, જૂનમાં એક મુલાકાતમાં, ઉષા વેન્સે સ્પષ્ટપણે કહ્યું, “હું કેથોલિક નથી અને ધર્મ પરિવર્તન કરવાનો કોઈ ઇરાદો નથી.” તેમણે સમજાવ્યું કે તેમના બાળકોને તેમનો ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. “અમે અમારા બાળકોને કેથોલિક શાળામાં મોકલ્યા, પરંતુ તેઓ બાપ્તિસ્મા લેવા માંગે છે કે નહીં તે તેમનો નિર્ણય છે. અમારા મોટા બાળકે બાપ્તિસ્મા લીધું છે, અને હવે અમે જોઈશું કે બીજું બાળક શું કરે છે.” ઉષાએ એમ પણ સમજાવ્યું કે બાળકોને હિન્દુ પરંપરાઓ સાથે જોડવા માટે, તેમને ધાર્મિક પુસ્તકો આપવામાં આવે છે, ભારતની યાત્રાઓ પર લઈ જવામાં આવે છે, અને ઘણા હિન્દુ મિત્રો અને સંબંધીઓ સાથે જોડવામાં આવે છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) એ પણ આ વિવાદનો જવાબ આપ્યો. ‘X’ પર લખ્યું, “જો તમારી પત્નીએ તમને તમારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હોય, તો શું તમે હિન્દુ ધર્મને સમજવાનો પ્રયાસ પણ કરી શકતા નથી? હિન્દુ ધર્મમાં કોઈને પણ તેના ધર્મનું પાલન કરવાની અથવા ધર્માંતર કરવાની જરૂર નથી. તે સમાવેશી અને બહુવચનવાદી છે.” HAF એ વધુમાં જણાવ્યું હતું કે ઉપપ્રમુખ તરીકે, વેન્સે હિન્દુ ધર્મના સકારાત્મક પ્રભાવ અને હિન્દુઓના તેમના ધર્મનું પાલન કરવાના અધિકારને પણ સ્વીકારવો જોઈએ.




