જામનગરમાં આયુર જેરીયકોન-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

જામનગર: આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન જામનગર એટલે આઇ.ટી.આર.એ.(ITRA). જે ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત છે. આ સંસ્થાની સ્થાપના ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં સંસ્થાની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સ્થાપના દિવસની ઉજવણી એક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ “આયુર જેરીયકોન-૨૦૨૫” દ્વારા કરવામાં આવી છે. આજ વર્ષે સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ આપવા સ્થપાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રને પણ ૨૫ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે ત્યારે તેની પણ ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજાવા જઇ રહેલાં આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ, NCISMના ચેરમેન ડૉ. બી. એલ. મહેરા અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી રહેશે. તેમજ દેશ અને દુનિયામાં આયુષ અને અન્ય ચિકિત્સા પધ્ધતિઓની સંસ્થા અને યુનિવર્સિટીઓના 26 જેટલાં વડાઓ-તજજ્ઞો ઓફલાઇન તેમજ ઓનલાઇન (વર્ક્યુઅલ પધ્ધતિથી) જોડાશે. ઉપરાંત નીતિ આયોગ ભારત સરકારના હેલ્થ રીસર્ચ ઓફિસર શોભિત કુમાર સહિતની વિવિધ વિદ્યાશાખાઓના તજજ્ઞો પણ પોતાનું જ્ઞાનરૂપી યોગદાન આપશે અને આમ થવાથી સમગ્ર વિશ્વ માટે આયુર્વેદના સથવારે વૃધ્ધાવસ્થાને સ્વાસ્થ્ય સમૃધ્ધ કરવા નીતિ અને માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.આયુર્વેદ માટે જામનગર એ જનક ભૂમિ સમાન છે ત્યારે તેના સુગ્રથિત શિક્ષણની તામામ તબક્કે શરૂઆત જામનગરથી થઇ છે. સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ માટે એક અલાયદું કેન્દ્ર પણ જામનગર ખાતે જ શરૂ કરવામાં આવ્યું હતું. આ રજત જયંતિ સફરમાં અત્યાર સુધીમાં વિશ્વભરના કુલ ૬૭ દેશોમાંથી ૫૨૫ વિદેશી વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યાં છે.

આયુર જેરીયકોન-૨૦૨૫ શું છે?

આઇ.ટી.આર.એ. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે સમગ્ર વિશ્વમાં એલોપથી ચિકિત્સા પધ્ધતિમાં જીરીયાટીક એટલે કે વૃધ્ધાવસ્થા માટેની ચિકિત્સા અને સાર-સંભાળ માટે અલાયદી વ્યવસ્થા છે પરંતુ આયુર્વેદમાં આજ સુધી માત્ર તે સંદર્ભ ગ્રંથોમાં સિમિત હતું પણ હવે તેની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ બને તે માટે વિચાર મંથન અને આગામી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ૩ દિવસીય જીરીયાકોન-૨૦૨૫ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી ૫૦૦થી વધુ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને અભ્યાસુઓએ ભાગ લેવાના છે એટલું જ નહીં પરંતુ સંશોધન પત્રો પણ રજૂ કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાક્ષાના તજજ્ઞો વકતા તરીકે વિવિધ ૧૦ જેટલા પેટાં વિષયો પર પરિસંવાદમાં જોડાશે જેમાં અર્જેન્ટિના, ઇટાલી, ભૂટાન અને શ્રીલંકાથી આવવાના છે. કુલ ૧૦ વકતાઓ દ્વારા ૩ દિવસમાં વિવિધ સત્રોમાં આ સમગ્ર પરિષદ યોજાઇ રહી છે. કુલ ૬ જેટલાં વર્કશોપમાં વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શન દ્વારા વિવિધ માર્ગદર્શીકા પણ તૈયાર થશે. આ પરિષદમાં કલિનિકલ જીરિયાટીક આયુર્વેદ પ્રેક્ટિસનરો માટેની તૈયાર થયેલી ડિજિટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. પરિષદમાં આયુર્વેદ થકી વૃધ્ધાવસ્થાની સારવાર માટેની અલગ અભ્યાસક્રમ માટેનો પાઠ્યક્રમ તૈયાર કરવો, માળખું ઘડવું અને પ્રાયોગિક કાર્યો માટેની વ્યવસ્થાનું સંપૂર્ણ માળખું પણ તૈયાર કરવામાં આવશે જે ભવિષ્યમાં સમગ્ર દેશ-દૂનિયા માટે દીવાદાંડી સમાન બની રહેશે.