ઈરાન કદી પણ પરમાણુ હથિયાર ના રાખી શકેઃ G-7 દેશો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધતો જઈ રહ્યો છે. ઈઝરાયલના લડાકુ વિમાનોને સોમવારે રાત્રે તહેરાનમાં લાઈવ પ્રસારણ દરમિયાન ઈરાનના સરકારી ટેલિવિઝન હેડક્વાર્ટર પર બોમ્બવર્ષા કરી હતી. બીજી બાજુ ઈરાનએ દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં ઈઝરાયલ પર લગભગ 400 બેલિસ્ટિક મિસાઈલો ફાયર કરી છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે ખોમિનીનો અંત આવ્યાથી જ પ્રદેશમાં શાંતિ આવી શકશે.

ઈરાન અને ઈઝરાયલ બંનેમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે મોતનો આંક વધતો જઈ રહ્યો છે. ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકોનાં મોત થયાં છે અને 1200થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ઈરાનના જવાબી હુમલાઓમાં ઈઝરાયલમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે.

G-7 દેશોએ ઈઝરાયલને આપ્યું સમર્થન

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં ગ્રુપ ઓફ સેવન (G-7) દેશોએ ઈઝરાયલ માટે ખુલ્લું સમર્થન વ્યક્ત કર્યું છે અને ઈરાનને મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવવાનો મુખ્ય સ્રોત ગણાવ્યો છે.

ઈઝરાયલને આત્મસંરક્ષણનો અધિકાર

G-7 દેશોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયલને પોતાના આત્મસંરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે તહેરાને તેના પરમાણુ કાર્યક્રમ પર લગામ લગાવવી પડશે, નહીં તો મોડું થશે.

 બંને દેશો વચ્ચે ચાલુ સંઘર્ષ દરમિયાન ઈઝરાયલના સમર્થનમાં ઊભા રહેલા G-7 દેશોએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે ઈરાન મધ્ય-પૂર્વમાં અશાંતિ અને અસ્થિરતાનો મુખ્ય સ્રોત છે. તેમણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે આહવાન સાથે ઈઝરાયલને સમર્થન આપ્યું હતું.