નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શનને કારણે IPL 2025 રદ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના વર્તમાન સીઝનને મધ્યમાં જ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની બેઠક બાદ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. આજથી કોઈ પણ મેચ નહીં રમાય. BCCIની પ્રાથમિકતા હવે વિદેશી ખેલાડીઓને તેમના ઘર પર સલામત રીતે મોકલવાની છે. નવી તારીખોની જાહેરાત જલદી કરવામાં આવશે.
IPL 2025માં અત્યાર સુધી 58 મેચો પૂરી થઈ
IPL 2025માં 8 મે સુધી કુલ 58 મેચો રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ધર્મશાલામાં રમાતી મેચ પણ સમાવિષ્ટ હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે આ મેચ મધ્યમાં જ રદ કરી દેવામાં આવી હતી. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમને ખાલી કરાવવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધર્મશાલાથી દિલ્હીને લાવવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
#BCCI suspends Indian Premier League 2025 #IPL2025 @BCCI #OperationSindoor #PahalgamTerrorAttack pic.twitter.com/09gP0No27x
— DD News (@DDNewslive) May 9, 2025
IPLની નવી તારીખોની ક્યારે થશે જાહેરાત?
આ સીઝનને હાલ માટે અહીં રોકી દેવામાં આવી છે. દેશમાં સ્થિતિ સામાન્ય થયા પછી જ વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગની બાકી રહેલા મેચો યોજાશે. BCCI ઝડપથી નવી તારીખોની જાહેરાત કરશે. એક વિકલ્પ તરીકે તે મેચો ખાલી સ્ટેડિયમમાં પણ કરાવી શકાય છે અને દર્શકોના સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકાય છે.
BCCIએ કેન્દ્ર સરકાર, તમામ ફ્રેન્ચાઇઝીઓ અને અન્ય સ્ટેકહોલ્ડરો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. આજથી કોઈ પણ મેચ નહીં રમાશે.
જમ્મુ સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન હુમલા કર્યા હતા, જેને ભારતીય સેના દ્વારા તાબડતોબ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. છતાં, સાવધાની રૂપે ધર્મશાલામાં ચાલી રહેલી મેચ અટકાવી દેવામાં આવી હતી અને તમામ ખેલાડીઓને હોટેલ પર પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
