ઈટાલીમાં કોરોનાથી હાહાકાર; 29નાં મરણ, પોપને પણ ચેપ લાગ્યો

રોમ: ઈટાલીમાં કોરોના વાઈરસ ફેલાયો છે અને ઓછામાં ઓછા 1,049 જણને આ ચેપ લાગુ પડ્યો છે. આ યુરોપીય દેશમાં આ બીમારીથી અત્યાર સુધીમાં 29 જણ માર્યા ગયા છે, એમ દેશના આરોગ્ય વિભાગના સત્તાવાળાઓએ સમર્થન આપ્યું છે.

સિવિલ પ્રોટેક્શન વિભાગના વડા અને કોરોના વાઈરસ ઈમર્જન્સી વિભાગના વિશેષ કમિશનર એન્જેલો બોરેલીએ જણાવ્યું છે કે કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત લોકોમાંથી 543 જેટલા લોકો અથવા 52 ટકા લોકોને હાલ એમના ઘરમાં જ અલાયદા રાખવામાં આવ્યા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાની અમને કોઈ જરૂર જણાઈ નથી.

બીજા 401 ચેપગ્રસ્ત (38 ટકા લોકો)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે બીજા 105 જણને હોસ્પિટલોના ઈન્ટેન્સિવ કેર વિભાગમાં રાખવામાં આવ્યા છે.

વધુ 8 જણના મરણ થતાં ઈટાલીમાં કોરોનાને કારણે થયેલો મરણાંક વધીને 29 થયો છે. સૌથી વધારે ખરાબ અસર લોમ્બાર્ડી પ્રદેશમાં થઈ છે.

ઈટાલીમાં કોરોના વાઈરસના પહેલા દર્દી વિશે ગઈ 21 ફેબ્રુઆરીએ સમર્થન આપવામાં આવ્યું હતું. એ વખતે લોમ્બાર્ડીના કોડોગ્નો નગરમાં છ દર્દી હોવાનું માલૂમ પડ્યું હતું.

યુરોપ ખંડમાં કોરોનાની સૌથી વધારે ખરાબ અસર ઈટાલીમાં થઈ છે.

અહેવાલો અનુસાર, ખ્રિસ્તી સમાજના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ પણ બીમાર પડી ગયા છે. પોપ છીંક ખાતા કેમેરામાં કેદ થયા હતા. એમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું વેટિકન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. એને કારણે એમણે લોકોને મળવાનું હાલ બંધ કરી દીધું છે. પોપ ફ્રાન્સિસ ઉપરાંત એમના બે સહયોગીને પણ કોરોના થયો હોવાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અનેક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે એમની ઈટાલીમાંની ફ્લાઈટ્સને હાલ રદ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ચીનમાંથી દુનિયામાં ફેલાયો છે અને હાલ 26 દેશો એની ઝપટમાં આવ્યા છે. દક્ષિણ કોરિયામાં પણ 12 જણના મરણ થઈ ચૂક્યા છે.