નવી દિલ્હીઃ ભારત માટે એક સારા સમાચાર છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પુલવામાં આતંકી હુમલાના મુખ્ય સુત્રધાર અને જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના મિશનને સફળતા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મામલે વિટો વાપરીને મસૂદ અઝહરનો બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ મામલે અમેરિકા, ફ્રાંચ અને બ્રિટને આગળ આવીને આ કામ કરવાનું નક્કી કર્યું છે. આ ત્રણ દેશો હવે ચીનને છોડીને અન્ય સભ્ય દેશો સમક્ષ પ્રસ્તાવ અંગે વાતચિત કરશે અને સમિતિ પર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે દબાણ વધારશે. તો આ સાથે જ અમેરિકાના વિદેશ પ્રધાને ચીનના બેવડા વલણની ઝાટકણી પણ કાઢી છે.
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરના દેશોએ ભારતને સમર્થન કર્યું હતું. આ વખતે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે યુએનએસસીમાં મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની પહેલ કરી હતી. જોકે, ચીનની અવળચંડાઈને કારણે આવું થઈ શક્યું ન હતું.
હવે ફરીથી આ ત્રણેય દેશોએ નવેસરથી પ્રસ્તાવ માટે ડ્રાફ્ટ આગળ વધાર્યો છે. આ પ્રસ્તાવ યુએનએસસીના 15 સભ્યોને આપવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પર સભ્ય દેશો સહમત થાય છે તો મસૂદ અઝહર પર મુસાફરી પર પ્રતિબંધ તેમજ સંપત્તિ જપ્ત થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ટ્વિટ કરીને ચીનની ઝાટકણી કાઢી છે. તેમણે લખ્યું કે, એક બાજુ ચીન પોતાના દેશમાં મુસ્લિમોને પીડા આપી રહ્યું છે, તો બીજી તરફ તે ઇસ્લામિક આતંકી સંગઠનની સંયુક્ત રાષ્ટ્રમાં રક્ષા કરી રહ્યું છે.
નોંધનીય છે કે ચીન આ સમિતિનું સ્થાયી સભ્ય છે. આ જ કારણ તેની પાસે વીટો પાવર છે. જે અંતર્ગત તે કોઈ પણ પ્રસ્તાવને રદ કરવાની ક્ષમતા ધરાવે છે. મસૂદ અઝહર મામલે ચીન ચાર વખત આવું કરી ચુક્યું છે. જોકે, નિયમ એવો છે કે સમિતિના સ્થાયી સભ્યો ઉપરાંત અન્ય અસ્થાયી સભ્યો કોઈ મુદ્દા પર સહમત થઈ જાય છે તો પ્રસ્તાવ પસાર કરી શકાય છે. એટલે કે આવા કેસમાં કોઈ એક સભ્યની નારાજગીનો કોઈ મતલબ નથી રહેતો.પુલવામા હુમલા બાદ ભારતે 26મી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી હતી. ભારતની એર સ્ટ્રાઇકમાં બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના તાલિમ કેન્દ્રને ઉડાવી દેવામાં આવ્યું હતું.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)