…તો પાકિસ્તાને ગંભીર પરિણામો ભોગવવાં પડશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એક તરફ કોરોના વાઇરસ સતત પ્રસરી રહ્યો છે,જ્યારે બીજી તરફ કટ્ટરપંથી મૌલવીઓનું જૂથ ઇચ્છે છે કે સરકાર મસ્જિદોમાં સામૂહિક રૂપથી નમાજ અદા કરવા સામે પ્રતિબંધોને વધારવાની ભૂલ ના કરે. વકફકુલ મદરિસ અલ અરેબિયાથી જોડાયેલા દેશના આશરે 50થી વધુ મૌલવીઓએ સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોરોના વાઇરસનો ડર બતાવીને પ્રતિબંધોને આગળ ના વધારવામાં આવે. આ બધા મૌલવીઓ રાવલપિંડી અને ઇસ્લામાબાદથી સંબંધ રાખવાવાળા છે, એમ પાકિસ્તાનના ન્યૂઝપેપર ધ ડોને માહિતી આપી હતી.

વરિષ્ઠ મૌલવીઓની બેઠકમાં સરકારને ચેતવણી

અહેવાલ મુજબ ઇસ્લામાબાદના જામિયા દારુલ ઉલૂમ ઝકરિયામાં એક બેઠક થઈ હતી, જેમાં કોરોનાને કારણે મસ્જિદોમાં નમાજ અદા કરવામાં લાગેલા પ્રતિબંધોને દૂર કરવા અને આને માટે સરકારને ચેતવણી આપવા માટે સર્વસંમતિ બની હતી.આ બેઠકમાં આ સંગઠનથી જોડાયેલા વરિષ્ઠ મૌલવીઓ સિવાય પ્રતિબંધિત સંગઠન અહલે સુન્નત વલ જમાતના સભ્યો પણ સામેલ હતા. આ બેઠક પછી કહેવામાં આવ્યું હતું કે રમજાનના પવિત્ર મહિનામાં આ પ્રકારના કોઈ પણ પ્રતિબંધ ના લગાડવામાં આવે. આ બેઠકનો વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ બેઠક પછી જામિયા દારુલ ઉલૂમ ઝકરિયાના અધ્યક્ષ પીર અઝિઝુર રહેમાન હઝારવીએ કહ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારના સંઘર્ષની સ્થિતિને ટાળવી જોઈએ.

મૌલાનાની સરકારને ચેલેન્જ

આ બેઠકમાં દેશમાં આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરતા મૌલવીઓની ધરપકડ પર નારાજગી દર્શાવતાં તેમને છોડવા અને તેમની સામે નોંધાયેલા કેસોને ખતમ કરવાની માગ પણ કરવામાં આવી હતી. રહેમાને કકહ્યું હતું કે સરકારના બધા અધિકારી અને ખુદ વડા પ્રધાન ધર્મના નિયમ-કાયદાઓથી બંધાયેલા છે. આમાં કહેવામાં આવ્યું છે કે બધી ધાર્મિક સંસ્થાઓથી જોડાયેલા લોકોએ આ જંગમાં સરકારને સહયોગ આપ્યો છે, પણ સરકાર તેમની સાથે સહયોગ નથી કરી રહી. લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝે પણ ઇસ્લામાબાદ વહીવટી તંત્રને સીધી ચેલેન્જ આપતાં કહ્યું હતું કે સરકાર મને રોકીને બતાવે.

તબલિગી જમાતનો પાકિસ્તાનમાં પણ કાળો કેર

પાકિસ્તાની મૌલવીઓનું એ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાછલા દિવસોમાં તબલિગી જમાતને કારણે અચાનક કોરોના વાઇરસના દર્દીઓમાં ઝડપથી વૃદ્ધિ થઈ હતી. જેથી પાકિસ્તાનમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને 5,707 સુધી પહોંચી ગઈ છે. અહીંના સિંધ અને પંજાબ પ્રાંતમાં કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. પંજાબમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 2,826 થઈ ગઈ છે, જ્યારે સિંધમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 1,452 થઈ છે. અત્યાર સુધી પાકિસ્તાનમાં કોરોનાને લીધે 96 દર્દીઓનાં મોત થયાં છે, જ્યારે 1092 દર્દીઓ ઠીક પણ થઈ ચૂક્યા છે.  

સરકારની અપીલને મૌલવીઓએ નજરઅંદાજ કરી

સરકાર દ્વારા વારંવનાર સોશિયલ ડિસ્ટન્સિંગ પર અમલ કરવાની વાતને આ મૌલવીઓ સતત નજરઅંદાજ કરી રહ્યા છે. આ મૌલવીએ સરકારની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યા છે. જો સરકાર મૌલવીઓના દબાણને વશ થઈ તો એના ગંભીર પરિણામો પાકિસ્તાને ભોગવવાં પડશે.

સુપ્રીમ કોર્ટે પણ ઇમરાન ખાન સરકાર સામે લાલ આંખ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વારંવાર ખરાબ આરોગ્ય વ્યવસ્થા અને હોસ્પિટલોની ખસ્તા હાલત પર કેટલીય વાર ઉલ્લેખ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કોરોના વાઇરસથી લડવા સામેની આ લાપરવાહીને લઈને સુપ્રીમ કોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરતાં કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્વાસ્થ્ય મામલોના સલાહકારને જવાબદાર ગણાવતાં તેમને દૂર કરવાનો આદેશ પણ આપ્યો હતો.