ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડર્યું, ભારતીય રાજદૂતને મિટિંગ માટે બોલાવ્યા

ઈસ્લામાબાદ- સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ભારત તરફથી વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો છે. તેમ છતાં પાકિસ્તાન તેની આતંકી હરકતો બંધ નથી કરી રહ્યું. ઉલટું ભારતને જોઈ લેવાની ધમકીઓ આપી રહ્યું છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ભારતમાં આતંકીઓની ઘુસણખોરી કરાવવા પ્રયાસ કરતું રહે છે.સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલા બાદ ભારતના રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાને આતંકી હુમલાની કીમત ચુકવવી પડશે’. ત્યારબાદથી પાકિસ્તાન ભારતને ધમકીઓ આપીને ડરાવવા પ્રયાસ કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, સુંજવાન હુમલા પાછળ પાકિસ્તાનનો જ હાથ છે. ભારતના રક્ષાપ્રધાનના આકરા વલણ બાદ પાકિસ્તાને ફરી એકવાર કહ્યું કે, તે ભારતની સૈન્ય કાર્યવાહીનો જવાબ આપવા સક્ષમ છે એટલું જ નહીં, સુંજવાન હુમલા પાછળ પાકિસ્તાનનો કોઈ જ હાથ નથી.

ભારતીય રાજદૂતને પાકિસ્તાનનું તેડું

મહત્વનું છે કે, ભારતીય સેના સરહદ પર પાકિસ્તાનના દરેક હુમલાનો વળતો જવાબ આપી રહી છે. જેના કારણે પકિસ્તાન અકળાયું છે. ગત રોજ ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ પર કરેલા ફાયરિંગ બાદ પાકિસ્તાને ઈસ્લામાબાદ સ્થિત ભારતીય રાજદૂતને મિટિંગ માટે બોલાવ્યા છે. પાકિસ્તાને ભારત પર આરોપ મુક્યો કે, ભારત વિના કારણે નિયંત્રણ રેખા પર (LoC) ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય ફાયરિંગમાં સ્કુલવાન લઈને જઈ રહેલા ડ્રાયવર સર્ફરાઝ અહમદનું મોત થયું હોવાનું પાકિસ્તાને જણાવ્યું છે.