બ્રિટેન: બાપુની પ્રતિમા લગાવવાના વિરોધમાં ‘ગાંધી મસ્ટ ફૉલ’ ઝૂંબેશ

બ્રિટેન: માનચેસ્ટર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ‘માનચેસ્ટર કેથેડ્રલ’ ની બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા લગાવવાના પ્રસ્તાવ વિરુદ્ધ એક અભિયાન શરુ કર્યુ છે. સ્થાનિક અધિકારીઓએ ગાંધીની પ્રતિમા લગાવવાની મંજૂરી આપી છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ‘ગાંધી મસ્ટ ફૉલ’ અભિયાન શરુ કર્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘે માનચેસ્ટર નગર પરિષદને એક ઓપન પત્ર લખીને કહ્યું કે, શહેરની વચ્ચોવચ્ચ મહાત્મા ગાંધીની 9 ફૂટ ઉંચી કાંસ્યની પ્રતિમા લગાવવાના નિર્ણય પર પુન: વિચારણા કરવી જોઈએ.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે, આફ્રિકામાં બ્રિટિશ શાસનની કાર્યવાહીઓમાં ગાંધીની સહભાગિતા હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગાંધીએ આફ્રિકીઓને અસભ્ય, અડધા-પડધા મૂળ નિવાસી, જંગલી, ગંદા અને પશુ જેવા રૂપમાં પોતાની કેટલીક ટિપ્પણીઓમાં સંદર્ભિત કર્યા હતાં. ગાંધીની આ પ્રતિમા આગામી મહિને લાગનારી છે અને તેના શિલ્પકાર રામ વી સુથાર છે.

જોગાનુંજોગ આ ગાંધીની 150મી જન્મજયંતી વર્ષ પણ છે. વિદ્યાર્થી સંઘના લિબરેશન અને એક્સેસ અધિકારી સારા ખાને નગર પરિષદ સમક્ષ પ્રતિમા લગાવવાની મંજૂરી પરત લેવાની માંગ કરી છે. પરિષદના પ્રવક્તાએ કહ્યું કે, ગાંધીની પ્રતિમા લગાવવાનો મુખ્ય ઉદ્દેશ શાંતિ, પ્રેમ અને ભાઈચારાના ગાંધીના સંદેશનો પ્રચાર કરવાનો છે.