કેનેડામાં એક વધુ હિન્દૂ મંદિરને બદમાશોએ અપવિત્ર કર્યું

વિન્ડસરઃ કેનેડાના ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસરમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) મંદિરને અમુક અસામાજિક તત્ત્વોએ અપવિત્ર કર્યું છે. એમણે દીવાલ પર ભારત-વિરોધી ભીંતચિત્ર-લખાણ વડે મંદિરને અપવિત્ર કર્યું છે. 2021ના જુલાઈ મહિનાથી કેનેડામાં ભારતીય હિન્દૂ મંદિરો સાથે અપરાધી વ્યવહારની ઘટનાઓ બનતી રહી છે.

(તસવીર સૌજન્યઃ https://www.baps.org/)

નવા બનાવમાં વિન્ડસરના BAPS મંદિરની દીવાલ પર ભારત તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં અને અલગતાવાદી ખાલિસ્તાન ચળવળના ટેકામાં સૂત્રો લખવામાં આવ્યા છે. BAPS સંસ્થાએ આ બનાવ અંગે આઘાત અને નિરાશાની લાગણી વ્યક્ત કરી છે. પોલીસને આ મામલે તત્કાળ પગલું ભરવા જણાવવામાં આવ્યું છે.

2021ના જુલાઈથી કેનેડામાં હિન્દૂ મંદિરને અપવિત્ર કરવાનો આ પાંચમો બનાવ બન્યો છે. આ પહેલાં મિસિસોગામાં રામ મંદિર અને બ્રેમ્પ્ટનમાં ગૌરી શંકર મંદિરને આ જ રીતે અપવિત્ર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રિચમોન્ડ હિલ વિસ્તારમાં વિષ્ણુ મંદિર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ખરાબ કરવામાં આવી હતી. ત્યારબાદ ગયા સપ્ટેમ્બરમાં ટોરોન્ટોમાં BAPS સંસ્થાના જ સ્વામીનારાયણ મંદિરમાં ભાંગફોડ કરવામાં આવી હતી.