નવી દિલ્હી: છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 6,000ને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યાર બાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
મળતી માહિતી અનુસાર કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, તૈયારીઓનો ભાગરૂપે કેન્દ્ર સરકાર ‘મોક ડ્રીલ’ કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 6,133 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 કોરોના દર્દીઓના મોત થયા છે. મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો હતા અને તેઓ ઘરે સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં 65 લોકોના કોરોનાથી મૃત્યુ થયાના અહેવાલ છે. 22 મે સુધીમાં દેશમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 257 હતી.કેરળ હજુ પણ દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં કોરોનાના કુલ 1,950 કેસ છે. છેલ્લા 24 કલાકમાં તેમાં 144નો વધારો જોવા મળ્યો છે. આ પછી ગુજરાતમાં 822, દિલ્હીમાં 686, મહારાષ્ટ્રમાં 595, કર્ણાટકમાં 366, ઉત્તર પ્રદેશમાં 219, તમિલનાડુમાં 194, રાજસ્થાનમાં 132 અને હરિયાણામાં 102 કેસ મળી આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 48 કલાકમાં 769 નવા કેસ સાથે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 6,000 નો આંકડો વટાવી ગયા છે.
