આતંકવાદ, કાશ્મીર મુદ્દે UNમાં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મંચ પરથી ભારતે ફરી એક વાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓ સામે ભારતે કડક વાંધો ઉઠાવતાં તેને ‘ખોટો નેરેટિવ’ ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સત્ર દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરિશે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી કે તે ભારત વિરુદ્ધ ખોટા અને પક્ષપાતપૂર્ણ એજન્ડા ચલાવવાનું બંધ કરે. આ ચર્ચાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરક્ષા પરિષદની વાર્ષિક અહેવાલ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહમદે ફરી જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટાકાર લગાવતાં તેના બિનઆધારભૂત દાવાઓની પોલ ખોલી હતી.

‘ઠાલાં નિવેદનોથી હકીકત બદલાશે નહીં

ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર સંબંધિત તમામ મુદ્દાઓ સંપૂર્ણપણે ભારતના આંતરિક વિષયો છે. તેમણે વૈશ્વિક મંચ પર કહ્યું હતું કે આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશાં રહેશે. તેના વિરુદ્ધ કરવામાં આવતા તમામ દાવાઓ નિરાધાર છે અને ઐતિહાસિક તથ્યોથી પર છે.

UNના મંચનો રાજકીય ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન

ભારતે આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી કે પાકિસ્તાન વૈશ્વિક શાંતિ માટે રચાયેલા આ પ્રતિષ્ઠિત મંચનો સતત દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાનાં સંકુચિત અને વિભાજનકારી રાજકીય હિતોને આગળ ધપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આ ગૌરવપૂર્ણ મંચનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. નોંધનીય છે કે સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનનો બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી મુદ્દે ભારતનો કડક વિરોધ

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આઈનો બતાવવાની સાથે ભારતે અન્ય એક મુદ્દે પણ ઇસ્લામાબાદને ઘેર્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સાત જૂને યોજાનારી કહેવાતી વિધાનસભા ચૂંટણીની યોજનાને લઈને પાકિસ્તાન સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર વિસ્તાર ભારતનો ભાગ છે અને તેના પર પાકિસ્તાને ગેરકાયદે તથા બળજબરીપૂર્વક કબજો જમાવ્યો છે.