IND vs ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત, ભારત જીતથી 9 વિકેટ દૂર

વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ 255 રન પર સમાપ્ત થઈ હતી, આ દરમિયાન શુભમન ગિલે ભારત માટે શાનદાર સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ કોઈને કોઈ રીતે ભારતને 400ની લીડ લેતા અટકાવવામાં સફળ રહ્યું છે.

હવે જો ઈંગ્લેન્ડને આ મેચ જીતવી હશે તો ઈતિહાસ રચાશે. કારણ કે ભારતમાં ટેસ્ટ ફોર્મેટમાં આટલા મોટા લક્ષ્યનો ક્યારેય પીછો કરવામાં આવ્યો નથી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 1 વિકેટના નુકસાને 67 રન બનાવી લીધા છે, રેહાન અહેમદ અને ઝેક ક્રોલી હાલમાં ક્રિઝ પર હાજર છે, ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે હજુ 332 રન બનાવવા પડશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 253 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી પ્રથમ દાવના હીરો યશસ્વી જયસ્વાલ અને જસપ્રિત બુમરાહ હતા, એક તરફ જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી જ્યારે બુમરાહે 6 વિકેટ ઝડપી હતી.