હિંદુ નહીં રહે તો વિશ્વ નહીં રહેઃ RSSપ્રમુખ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે ભારતને એક સભ્યતા તરીકે વર્ણવ્યું અને તેની અસ્તિત્વની શક્તિ અંગે પ્રકાશ પાડ્યો. ભાગવતે કહ્યું હતું કે ભારતીય સમાજનું નેટવર્ક એવું છે કે હિંદુ સમાજ હંમેશાં જીવંત રહેશે. તેમણે કહ્યું હતું કે જો હિંદુ નહીં રહે તો વિશ્વ નહીં રહે.

મણિપુરની સફરે ગયેલા RSSપ્રમુખે કહ્યું હતું કે પરિસ્થિતિનો વિચાર તો સૌને કરવો પડે છે, પરંતુ તમે જુઓ કે પરિસ્થિતિ આવે છે અને જાય છે. દુનિયામાં ઘણા દેશોએ અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કર્યો. કેટલાક દેશો તેમાં સમાપ્ત થઈ ગયા.યુનાન, મિશ્ર અને રોમા બધા નષ્ટ થઈ ગયા. કંઇક વાત એવી છે કે અમારી હસ્તી નથી મટતી. ભારત એક અમર સિવિલાઈઝેશનનું નામ છે. બાકી બધાં આવ્યા, ચમક્યા અને ચાલ્યા ગયા, પરંતુ અમે હજુ પણ છીએ અને રહીશું, કારણ કે અમે અમારા સમાજનું એક મૂળભૂત નેટવર્ક બનાવ્યું છે, જેને કારણે હિંદુ સમાજ રહેશે. હિંદુ નહીં રહે તો વિશ્વ નહીં રહે.

અમારા પર અનેક વખત આક્રમણ થયા

RSS પ્રમુખએ કહ્યું હતું કે ભારત વર્ષ હંમેશાંથી રહ્યું છે. મહાભારત, રામાયણ અને કાલિદાસના મહાન સાહિત્યમાં ભારતવર્ષનો સંપૂર્ણ ઉલ્લેખ છે. ભારત વર્ષને મણિપુરથી લઈને અફઘાનિસ્તાન સુધીના ભૂભાગ, રાજાઓ અને પ્રજાના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. રાજ્ય બદલાતા રહ્યા, અનેક રાજાઓ થયા, એક સમય એવો પણ હતો જ્યારે એક મહાન શાસક હતો, અનેક વખત અમે સ્વતંત્ર થયા અને અમારા પર અનેક વખત આક્રમણ થયું, પરંતુ ભારત મજબૂત રહ્યું અને એકીકૃત ઐતિહાસિક દેશ તરીકે ઊભો રહ્યો. 1945માં દ્વિતીય વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી દુનિયાનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું. નેતાઓએ પોતાની રાજકીય મજબૂરીઓને કારણે અલગ-અલગ મત આપ્યા, નહિતર તમામ નેતાઓની મૂળભૂત સમજૂતી એવી જ હતી કે સમગ્ર ભારત આપણું છે.