VIDEO: કેદારનાથ નજીક રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ, ગુજરાતના એક સહિત 7નાં મોત

ઉત્તરાખંડ: રવિવાર સવારે ફરી એકવાર કેદારનાથ ધામના યાત્રીઓ મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા. કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં સવાર તમામ 7 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) અનુસાર, હેલિકોપ્ટરમાં ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્રના 2-2 મુસાફરો અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના 1-1 મુસાફરો હતા. ગૌરીકુંડથી NDRF અને SDRF બચાવ ટીમો રવાના કરવામાં આવી છે.

ચાર ધામ યાત્રા હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું – હેલી સેવાના સંચાલન માટે કડક નિયમો બનાવવામાં આવશે. આમાં, ઉડાન પહેલાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ તપાસવી અને હવામાનની સચોટ માહિતી મેળવવી ફરજિયાત બનાવવામાં આવશે.

હેલિકોપ્ટરમાં સવાર લોકો

  • કેપ્ટન રાજબીર સિંહ ચૌહાણ – પાયલોટ, જયપુર
  • વિક્રમ રાવત – બીકેટીસી, રાસી, ઉખીમઠ
  • વિનોદ દેવી – ઉત્તર પ્રદેશ, ઉંમર 66 વર્ષ
  • તૃષ્ટિ સિંહ – ઉત્તર પ્રદેશ, ઉંમર 19 વર્ષ
  • રાજકુમાર સુરેશ જયસ્વાલ – ગુજરાત, ઉંમર 41 વર્ષ
  • શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ – મહારાષ્ટ્ર
  • કાશી – છોકરી, ઉંમર 02 વર્ષ, મહારાષ્ટ્ર

અધિકારીઓએ માહિતી આપી

ઉત્તરાખંડના એ.ડી.જી. (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં પાઈલટ સહિત 7 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી.

મુખ્યમંત્રી ધામીએ વ્યક્ત કર્યું દુઃખ

ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું ‘જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસ.ડી.આર.એફ., સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.’

જો કે થોડાં સમય બાદ તમામ યાત્રીઓ અને પાયલોટનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા.