યુદ્ધજહાજ ‘INS-સૂરત’: જહાજ-નિર્માણમાં સુરત શહેરની સદીઓ-જૂની પ્રતિષ્ઠા છે

સુરતઃ પ્રોજેક્ટ-15B વર્ગની નેક્સટ જનરેશન સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર વોરશિપને ‘INS સૂરત’ નામ આપવામાં આવ્યું છે અને તેને 17 મેએ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. આ સ્વદેશી ટેક્નોલોજી વડે નિર્મિત યુદ્ધજહાજ છે. 17મીએ મુંબઈસ્થિત મઝગાંવ ડોકમાં એનું જલાવતરણ કરવામાં આવશે. એ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે. આ યુદ્ધ જહાજ વિશાખાપટ્ટનમ ક્લાસનું ચોથું જહાજ છે. તેનું વજન ૭૪૦૦ ટન છે. આમાં ૩૨ બરાક મિસાઈલ, ૧૬ બ્રમ્હોસ મિસાઇલ, ઉપરાંત ટોરપીડો અને બે હેલીકોપ્ટર પણ રહી શકે છે.

‘આઈએનએસ સૂરત’ યુદ્ધજહાજને ગુજરાતના વ્યાપારી પાટનગર કહેવાતા સૂરત શહેરનું નામ આપવામાં આવ્યું છે. મુંબઈ બાદ સૂરત શહેરને પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમર્શિયલ-હબ માનવામાં આવે છે. 16મી સદીથી લઈને 18મી સદી સુધી સૂરત શહેર જહાજનિર્માણમાં અગ્રગણ્ય શહેર ગણાતું હતું. ત્યાં બનાવવામાં આવેલા જહાજો 100-100 વર્ષ સુધી સમુદ્રમાં સક્રિય રહી શકતા હતા. આમ, ‘આઈએનએસ સૂરત’ નામ અપાવાથી સૂરત શહેર અને ગુજરાત રાજ્યની યશકલગીમાં નવું પીછું ઉમેરાયું છે. સુરતી લોકો માટે ગર્વની વાત છે.